લંડનમાં વિજય માલ્યા સાથે પાર્ટી અને ‘સૌથી મોટા ભગોડા’ વાળું નિવેદન: વિવાદ વધતા લલિત મોદીએ માફી માંગી, કહ્યું- ‘ખોટું અર્થઘટન થયું’
આઈપીએલ (IPL) ના સ્થાપક લલિત મોદીએ ભગોડા ઉદ્યોગપતિ વિજય માલ્યાના 70મા જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ સર્જાયેલા વિવાદ પર જાહેર માફી માંગી છે. આ વીડિયોમાં તેમણે પોતાની જાતને અને માલ્યાને “ભારતના બે સૌથી મોટા ભગોડા” ગણાવ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ભારત સરકારે પણ આ બાબતે કડક વલણ અપનાવ્યું હતું.
વિવાદનું મૂળ: “અમે ભારતના બે સૌથી મોટા ભગોડા છીએ”
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે લલિત મોદીએ લંડનના બેલગ્રેવ સ્ક્વેર સ્થિત પોતાના નિવાસસ્થાને વિજય માલ્યા માટે એક ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ માલ્યા સાથે હસતા હસતા કહી રહ્યા હતા, “અમે ભારતના બે ભગોડા છીએ, સૌથી મોટા ભગોડા”. તેમણે આ પોસ્ટની સાથે કેપ્શન લખ્યું હતું, “ચાલો ભારતમાં ફરીથી ઇન્ટરનેટ હલાવી દઈએ. હેપ્પી બર્થડે મારા મિત્ર વિજય માલ્યા”.
આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં બ્રિટિશ અભિનેતા ઇદ્રિસ એલ્બા અને ભારતીય ઉદ્યોગસાહસિક કિરણ મઝુમદાર-શો જેવા મહેમાનો પણ હાજર હતા.
સોશિયલ મીડિયા પર રોષ અને સરકારનો જવાબ
વીડિયો વાયરલ થતાની સાથે જ ભારતીયોએ તેને દેશની ન્યાય વ્યવસ્થા અને કાયદાની મજાક ગણાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આકરી ટીકા કરતા કહ્યું કે આર્થિક ગુનેગારો વિદેશી ધરતી પર બેસીને ભારતની મજાક ઉડાવી રહ્યા છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર ભગોડાઓને પાછા લાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય પ્રક્રિયાઓના અનેક સ્તરો હોવા છતાં, સરકાર અન્ય દેશો સાથે સંપર્કમાં છે જેથી આ આરોપીઓને ભારતીય અદાલતોમાં રજૂ કરી શકાય.
લલિત મોદીનો ‘યુ-ટર્ન’ અને માફી
વધતા દબાણ વચ્ચે લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું, “જો મેં કોઈની લાગણી દુભાવી હોય, ખાસ કરીને ભારત સરકારની, જેનું હું ખૂબ સન્માન કરું છું, તો હું માફી માંગુ છું”. તેમણે આગળ દાવો કર્યો કે તેમના નિવેદનનું “ખોટું અર્થઘટન કરવામાં આવ્યું” અને તેમનો ઈરાદો એવો નહોતો જેવો દર્શાવવામાં આવ્યો છે.
I apologise if I have hurt anyone feelings especially the Indian Government who I have the highest respect and regard for. The statement was misconstrued and was never intended to be as played out. Once again my deepest apologies
— Lalit Kumar Modi (@LalitKModi) December 29, 2025
કાયદાકીય સકંજામાં મોદી અને માલ્યા
- લલિત મોદી: આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન 2010 માં લીગના શરૂઆતના વર્ષોમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ થયા પછી ભારત છોડીને ચાલ્યા ગયા હતા.
- વિજય માલ્યા: કિંગફિશર એરલાઇન્સના પૂર્વ માલિક પર બેંકોનું આશરે 9,000 કરોડ રૂપિયાનું લેણું છે. તેઓ 2016 થી બ્રિટનમાં છે અને ત્યાં પ્રત્યાર્પણ સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.
ભારત સરકારે ‘ભગોડા આર્થિક ગુનેગાર અધિનિયમ, 2018’ હેઠળ આ લોકો સામે કાર્યવાહી તેજ કરી છે, જે અંતર્ગત 100 કરોડ રૂપિયાથી વધુના કેસમાં ગુનેગારોની મિલકત જપ્ત કરવાની જોગવાઈ છે.
