સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગુંજ્યું વીર હમીરજી ગોહિલનું શૌર્ય અને બલિદાન
ભારતીય સંસ્કૃતિના અતૂટ આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઈતિહાસના એવા વીર યોદ્ધાનું સ્મરણ અનિવાર્ય છે જેમણે શિવલિંગની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. લાઠીના રાજકુંવર વીર હમીરજી ગોહિલનું નામ સોમનાથના ઈતિહાસમાં અમર છે. આ પર્વ માત્ર મંદિરની ભવ્યતાનો જ નહીં, પરંતુ હમીરજી જેવા અનેક શહીદોના લોહીથી સિંચાયેલી આ પવિત્ર ધરતીના ખમીરનો પણ ઉત્સવ છે.
જ્યારે આક્રમણખોર ઝફરખાનની સેનાએ સોમનાથ મંદિરને નિશાન બનાવ્યું, ત્યારે હમીરજી ગોહિલે રાજગાદી અને નવપરિણીત પત્નીનો મોહ ત્યજીને ધર્મરક્ષાનો માર્ગ પસંદ કર્યો હતો. માર્ગમાં તેમની સાથે વેગડાજી ભીલ જેવા વીર લડવૈયાઓ પણ જોડાયા હતા. આ નાનકડી ટુકડીએ આક્રમણખોરોની વિશાળ સેના સામે અજોડ વીરતા બતાવી હતી. ઈતિહાસ સાક્ષી છે કે સોમનાથની રક્ષા માટે હમીરજીએ જે બલિદાન આપ્યું તે આજે પણ ભારતીય યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
શૌર્યનું પ્રતીક: હમીરજી ગોહિલની ખાંભી અને પ્રતિમા
સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અડીખમ ઉભેલી વીર હમીરજી ગોહિલની પ્રતિમા અને તેમની ખાંભી આવતા-જતા દરેક શ્રદ્ધાળુને તેમના બલિદાનની યાદ અપાવે છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં લડતા-લડતા હમીરજીએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. આજે પણ ભક્તો મહાદેવના દર્શને જતા પહેલા આ શહીદના ચરણોમાં નતમસ્તક થાય છે. હાથમાં તલવાર સાથેની તેમની પ્રતિમા રાષ્ટ્ર અને ધર્મના ગૌરવ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પરંપરાને જીવંત રાખે છે.
ભવ્ય શૌર્ય યાત્રા દ્વારા વીર યોદ્ધાને અંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઉજવાઈ રહેલા આ સ્વાભિમાન પર્વમાં ૧૧ જાન્યુઆરીએ એક ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા હમીરજી ગોહિલની પ્રતિમાથી શરૂ થઈને સભાસ્થળ સુધી જશે, જેમાં ૧૦૮ ઘોડેસવારો પણ જોડાશે. જય સોમનાથના નાદ સાથે નીકળનારી આ યાત્રા ખરા અર્થમાં શહીદોના વારસાને આપવામાં આવેલી ભાવભીની અંજલિ છે. આ કાર્યક્રમ નવી પેઢીને ભારતના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવાનું મહત્વનું માધ્યમ બનશે.
અસ્મિતા અને આસ્થાનું જીવંત રક્ત
કનૈયાલાલ મુનશીએ સોમનાથને જે અનંત જ્યોતિ તરીકે વર્ણવ્યું છે, તેને પ્રજ્વલિત રાખવામાં હમીરજી ગોહિલ જેવા વીરોનું મહામૂલું યોગદાન છે. સોમનાથ મંદિર રાખમાંથી ફરી બેઠું થયું તેનું મુખ્ય કારણ એ છે કે આ ધરતીના પુત્રોએ તેને પોતાના રક્તથી સિંચ્યું છે. આજે જ્યારે સોમનાથ સુવર્ણ યુગ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હમીરજીની ખાંભી આપણને યાદ અપાવે છે કે આસ્થા અને આઝાદીના જતન માટે હરહંમેશ તત્પર રહેવું જોઈએ.

