રાજ્યપાલના આહવાનથી પંદરમી વિધાનસભાનું આઠમું સત્ર 16 ફેબ્રુઆરીએ મળશે
ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય બંધારણના અનુચ્છેદ-૧૭૪(૧) હેઠળ પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રની જાહેરાત કરી છે. આગામી ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬થી આ સત્રનો પ્રારંભ થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સત્રની વિગતવાર રૂપરેખા જાહેર કરતા જણાવ્યું છે કે આ સત્ર રાજ્યના વિકાસ અને નાણાકીય આયોજન માટે અત્યંત મહત્વનું સાબિત થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીના સંબોધન સાથે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે.
૧૭મી ફેબ્રુઆરીએ રજૂ થશે રાજ્યનું અંદાજપત્ર
આ સત્રનું સૌથી મુખ્ય પાસું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અંદાજપત્ર (બજેટ) રહેશે. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નાણામંત્રીશ્રી દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે અગાઉના વર્ષોના વધારાના ખર્ચના પત્રકો અને ચાલુ નાણાકીય વર્ષના પૂરક પત્રકો પણ ગૃહના પટલ પર મૂકવામાં આવશે. આ સત્ર તા. ૧૬/૦૨/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ સુધી ચાલશે, જેમાં કામકાજના કુલ ૨૩ દિવસ દરમિયાન ૨૬ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકોનું આયોજન અને નાણાકીય કામકાજ
વિધાનસભાના કામકાજની વહેંચણી મુજબ, નાણાકીય કામકાજ માટે સૌથી વધુ ૧૮ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ૪ બેઠકો, વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો તેમજ પૂરક માંગણીઓ માટે ૨ બેઠકો રાખવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો, સરકારી વિધેયકો માટે ૪ બેઠકો અને બિનસરકારી કામકાજ માટે ૬ બેઠકો અનામત રાખવામાં આવી છે.
પ્રશ્નોત્તરીમાં ટેકનોલોજી અને નેવા પોર્ટલનો ઉપયોગ
માનનીય અધ્યક્ષશ્રીએ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નો માટે મંત્રીશ્રીઓના પાંચ જૂથોની રચના કરી છે. ધારાસભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સત્ર દરમિયાન ડિજિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અને વધુ વિગતો ‘નેવા’ (NeVA) વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. સત્રની શરૂઆત પહેલા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જે સત્રના સુચારુ સંચાલન માટે અંતિમ ભલામણો રજૂ કરશે.

