સંસ્કૃતિ, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતાનું સંગમ, સુરતમાં છત્તીસગઢના યુવાનો માટે વિશેષ યુવા કાર્યક્રમ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત ‘માય ભારત-સુરત’ દ્વારા ૫ દિવસીય આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છત્તીસગઢથી આવેલા ૩૭ યુવાનોએ ગુજરાતની અમીરાત અને સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો. માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસનો મુખ્ય હેતુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાર્થક કરવાનો હતો.
ઉદ્યોગ અને શિક્ષણની સફર
સુરતની મુલાકાત દરમિયાન યુવાનોએ શહેરના ઔદ્યોગિક અને શૈક્ષણિક ગૌરવ સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી:
-
હજીરા પોર્ટ અને હરેકૃષ્ણા ડાયમંડ્સ: ઔદ્યોગિક વિકાસ અને હીરા ઉદ્યોગની તકનીકી બારીકીઓ સમજી.
-
SVNIT અને ઓરો યુનિવર્સિટી: ઉચ્ચ શિક્ષણના આધુનિક અભ્યાસક્રમો અને તકનીકી વિકાસની માહિતી મેળવી.
-
માર્ગદર્શન સત્ર: ડીસીપી નિધિ ઠાકુરે યુવાનોને સિવિલ સર્વિસીસ માટે પ્રેર્યા, જ્યારે હરેન્દ્ર સિંહ તોમરે સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંત્રો આપ્યા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાંસ્કૃતિક મિલન
કાર્યક્રમના સૌથી આકર્ષક ભાગરૂપે યુવાનોએ કેવડિયા સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સમક્ષ યુવાનોએ ‘વિવિધતામાં એકતા’ના દર્શન કર્યા હતા. મનોરંજનના ભાગરૂપે છત્તીસગઢના યુવાનોએ પોતાના પારંપરિક લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરીને ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા, તો બીજી તરફ તેમણે ગુજરાતી ભોજનનો પણ ભરપૂર આનંદ માણ્યો હતો.
ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ્સ અંગે મયુરભાઈ કલસરિયા અને સ્થાનિક બિઝનેસ મોડલ અંગે ડો. વિજયભાઈ રાદડિયાએ આપેલું માર્ગદર્શન યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું હતું. માય ભારતના સમર્પિત સ્વયંસેવકોની જહેમતથી આ કાર્યક્રમ યુવાનો માટે આજીવન યાદગાર બની રહ્યો હતો.

