તિહાડ જેલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા મુક્યા હોવા છતા પણ નિર્ભયાના દોષિત વિનય શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેલ સૂત્રો અને વિનયના વકીલ એપી સિંહના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવાર સવારની છે. સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમયે તેને બચાવી લીધો હતો જેથી તેનો જીવ બચી ગયો. જોકે, જેલ સુપ્રિટેન્ડેન્ટ સંદીપ ગોયલે આવી કોઈ ઘટના ઘટી હોવાની વાતને નનૈયો ભણ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિનયને જેલના મેડિકલ ઈન્સ્પેક્શન રૂમમાં 24 કલાક ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ ગુરૂવારના રોજ વિનય અને જેલ નંબર બેમાં કેદ મુકેશ, અક્ષય અને પવનને જેલ નંબર ત્રણમાં ફાંસી ઘરની પાસે આવેલા હાઈ સિક્યોરિટી સેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આદેશ 9 જાન્યુઆરીના રોજ આપવામાં આવ્યો હતો, પરંતુ ગુરૂવાર સુધી તેને અમલમાં મુકવામાં આવ્યો નહતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર દોષિત ફાંસીની તારીખ આગળ વધારવા માટે પોતાના પર ગુનો દાખલ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. વિનય જેલ નંબર ચારના સિંગલ રૂમમાં બંધ હતો. તેના રૂમ અને ટોયલેટ વચ્ચે ફક્ત એક જ પરદો છે. બુધવાર સવારે 9-10 વાગ્યાની આસપાસ તેણે કપડા અને ગમછાથી ફંદો બનાવીને તેમાં લટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આ ફંદો પાંચ-છ ફૂટની ઉંચાઈ પર જ હોવાના કારણે તે લટકી શકતો નહતો અને આ દરમિયાન જ અન્ય કોઈ કેદીએ સુરક્ષાકર્મીઓને આ અંગે જાણ કરી દીધી હતી.