ચીનમાં હાહાકાર મચાવેલા કોરોના વાયરસે વિશ્વના ઉદ્યોગોને પણ અસર પહોંચાડી છે. કોરોના વાયરસની સીધી અસર ગુજરાતના ઉદ્યોગોને પણ પડી રહી છે. રાજકોટમાં કરવામાં આવતા મશીનોનું ઉત્પાદન સીધું અને આડકતરી રીતે એમ બંને રીતે ચીન સાથે સંકળાયેલું છે. કોરોના વાયરસના પગલે 200 જેટલા કન્ટેનર ખાલી કર્યા વગર પોર્ટ પર ફસાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનમાં રાજકોટથી કપાસની આયાત કરવામાં આવે છે અને મશીનરી આયાત કરવામાં આવે છે. રાજકોટમાંથી 60થી 70 લાખ કપાસની ગાંસડી નિકાસ કરવામાં આવે છે. આ વર્ષે વરસાદ સારો હોવાના લીધે કપાસનું ઉત્પાદન સારું છે અને ચીનમાં પણ માંગ સારી છે પરંતુ કોરોના વાયરસના કારણે નિકાસના ઉદ્યોગને માઠી અસર પડી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું પણ પુષ્કળ ઉત્પાદન થયું છે. જેથી સૌરાષ્ટ્રમાંથી સિંગદાણા અને સિંગતેલ ચીનમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વાયરસને કારણે સિંગતેલ અને સિંગદાણાના કન્ટેનરો પોર્ટ પર અટવાઈ ચૂક્યા છે અને અંદાજીત 100 કરોડ જેટલો માલ ફસાયો છે.
ઉલ્લેખનીય છે કે, ચીનની તેલીબીયામાં ચિક્કાર ખરીદી જોવા માટે મળે છે. ચીનમાં લોકોની અવર-જવર બંધ કરાતા પોર્ટ ઉપર મજૂરો આવતા બંધ થઇ જતા સૌરાષ્ટ્રમાંથી મોકલાવેલા અંદાજિત 200 કન્ટેનર ખાલી કર્યા વગર પોર્ટ પર ફસાયેલા છે.