એક તરફ મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ અનિલ અંબાણીની કંપનીઓને ગ્રહણ લાગ્યું હોય તેમ તેની એક પછી એક કંપનીઓ નાદારી નોંધાવી રહી છે. દરમિયાન દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાંથી અનિલના બંને પુત્રોએ રાજીનામાં આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અણમોલ અંબાણી અને અંશુલ અંબાણીને ગયા વર્ષે જ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેમના રાજીનામાની વાત બહાર આવતાની સાથે જ અનિલ અંબાણીની કંપનીઓના શેર્સમાં 4 થી 5 ટકા જેટલો ઘટાડો થયો હતો. વિતેલા વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાએ મોટી ખોટ કરી છે.
રિલાયન્સ ઇન્ફ્રામાં જોડાતાં પહેલા અનિલનો મોટો પુત્ર અંશુલ રિલાયન્સ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતો હતો. અણમોલ રિલાયન્સ ઇન્ફ્રાના ડિફેન્સ પ્રોજેક્ટ્સ સંભાળતો હતો. આમેય આ કંપની પહેલેથી 6,000 કરોડના દેવામાં ડૂબેલી હતી. હવે અનિલના બંને પુત્રોના રાજીનામાની વાત જાહેર થતાં કંપનીના શૅર્સ વધુ ગગડ્યા હતા.
