પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતની સર્જનાત્મકતા ઝળહળી, ટેબ્લોને મળ્યો લોકપ્રિયતા અને સાંસ્કૃતિક પ્રોત્સાહન પુરસ્કાર
૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી ભવ્ય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં સતત ચોથી વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે ગુજરાતને વિજેતા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ – વિજયી ગાથા
ચાલુ વર્ષે ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલ ટેબ્લોની થીમ ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ હતી. આ ટેબ્લોનું નિર્માણ ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાની ટીમ દ્વારા રાત-દિવસની મહેનત બાદ આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી, જેણે દેશભરના લોકોના દિલ જીતી લીધા છે.
છેલ્લા ચાર વર્ષની અવિરત વિજય પરંપરા
ગુજરાતના ટેબ્લોએ ૨૦૨૩ થી ૨૦૨૬ સુધી સતત એવોર્ડ જીતીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે:
-
૨૦૨૩: ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ – પોપ્યુલર ચોઈસ એવોર્ડ.
-
૨૦૨૪: ‘ધોરડો: વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ – પોપ્યુલર ચોઈસ અને જ્યુરી કેટેગરીમાં દ્વિતીય ક્રમ.
-
૨૦૨૫: ‘આનર્તપુરથી એકતાનગર સુધી’ – વિરાસતથી વિકાસનો સંગમ – પોપ્યુલર ચોઈસ એવોર્ડ.
-
૨૦૨૬: ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ – સતત ચોથી વાર પોપ્યુલર ચોઈસમાં પ્રથમ.
સાંસ્કૃતિક નૃત્યમાં પણ ગુજરાતની છાપ
આ વર્ષે માત્ર ટેબ્લો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારોની નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતના કલાકારોએ મેદાન માર્યું હતું. ગુજરાતના પારંપરિક નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું, જે રાજ્યની સમૃદ્ધ લોકકલા અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીએ ગુજરાત વતી ગૌરવપૂર્વક સ્વીકાર્યો હતો.


