સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માની શાસ્ત્રોક્ત પૂજા અને પાલખીયાત્રામાં સહભાગિતા
તેલંગણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તેમણે ભગવાન સોમનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
શાસ્ત્રોક્ત વિધિ અને સોમેશ્વર મહાપૂજા
મંદિર પરિસરમાં શરણાઈઓના મધુર સૂરો વચ્ચે પ્રવેશ્યા બાદ, રાજ્યપાલશ્રીએ ગંગાજળથી મહાદેવનો જળાભિષેક કર્યો હતો. પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે તેમના હસ્તે ‘સોમેશ્વર મહાપૂજા’ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ તેમને ભગવાનનો પ્રસાદ અને સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ કર્યા હતા.
પાલખીયાત્રા અને સાંસ્કૃતિક વારસો
રાજ્યપાલશ્રીની મુલાકાતનું વિશેષ આકર્ષણ મંદિર પરિસરમાં યોજાયેલી પરંપરાગત પાલખીયાત્રા હતી. ભજન-કિર્તન અને ડમરૂના ગુંજારવ વચ્ચે નીકળેલી આ યાત્રામાં તેઓ સ્વયં સહભાગી થયા હતા. તેમણે આ પવિત્ર અનુભવને શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનો અદભૂત સંગમ ગણાવ્યો હતો.
ઐતિહાસિક મહત્વ અને બાણસ્તંભની મુલાકાત
પૂજન બાદ રાજ્યપાલશ્રીએ સમગ્ર મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને તેમણે સમુદ્ર કિનારે આવેલા સુપ્રસિદ્ધ ‘બાણસ્તંભ’ની મુલાકાત લીધી હતી. તેમણે સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસ, તેના પર થયેલા આક્રમણો અને પુનઃનિર્માણની ગાથા વિશે ઊંડી રુચિ દાખવી માહિતી મેળવી હતી.
તેલંગણાના રાજ્યપાલની આ મુલાકાતથી દક્ષિણ અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક સેતુ વધુ મજબૂત બન્યો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓ અને મંદિરની દિવ્યતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.


