અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા ખાતે રહેતા વિનોદભાઈ વાઘેલાના પત્ની અનિતાબેન વાઘેલાની હત્યા થયા બાદ હજુસુધી પોલીસને હત્યારાઓ અંગે કોઈ સુરાગ નહિ મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ કેસના આરોપીઓને ઝડપી લઈ કડક સજાની માંગ ઉઠવા પામી છે દરમિયાન આ વિસ્તારના લોકો તેમજ દલિત આગેવાનો એકત્ર થયા હતા અને કેન્ડલ લાઈટ સાથે સભા યોજી હતી અને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ સાથે પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હત્યાનો ભોગ બનનાર અનિતા બેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.18 મી જુલાઈ 2023 ના રોજ સવારે 8 કલાકે અનિતાબેન વાઘેલા પોતાના ઘરેથી સફાઈ કામ કરવા માટે નીકળ્યા બાદ તેઓની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર ફેલાઈ છે અને અનિતા બેનના ત્રણ બાળકો રઝળી પડ્યા છે.
અનિતાબેન સ્વપ્નિલ આર્કેડમાં પાંચમા માળે ઓફિસમાં તેમજ બાજુમાં આવેલા હોલ અને સ્વપ્નિલ એલિગન્ટસની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં સાફ-સફાઈ કરવા માટે જતા હતા. તેઓ સવારે 8 વાગે જતા હોય અને બપોરે દોઢ બે વાગે આસપાસ તમામ જગ્યાનું કામ પતાવીને ઘરે પરત આવતા હતા પરંતુ તે દિવસે ઘરે પરત નહિ ફરતા શોધખોળના અંતે તેઓની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અનિતા બેનના માથાના ભાગે અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું અને આ ઘટનામાં પોલીસ તપાસ ચાલુ છે.