અમદાવાદમાં સ્કૂલ જતા બાળકોને જો વાહન આપવામાં આવશે તો તેના પિતા સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે,કારણ કે અમદાવાદમાં એક સગીરનું મોત થઈ ગયું છે ત્યારે આ પ્રકરણમાં બાળકને વાહન આપનાર પિતા સામે ખુદ પોલીસે ફરીયાદી બની ગુનો દાખલ કર્યો છે અને આગામી સમયમાં અમદાવાદમાં આ માટે સ્પેશ્યલ અભિયાન છેડવામાં આવશે.
અમદાવાદમાં કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ પોતાની 16 વર્ષીય પુત્રી ભૂમિને સ્કૂલે જવા ટુ-વ્હીલર આપતા ભૂમિએ સ્કૂલે જતી વખતે પોતાની સાથે આવનાર સગીર વયના દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપતા સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા બંનેને ગંભીર ઈજા થઇ હતી દરમિયાન લોકો એકત્ર થઈ જતા બન્નેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતાં સારવાર દરમિયાન સગીરનું મોત થઇ ગયું હતું.
આ ઘટનામાં પોલીસે ભૂમી સગીર હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો દાખલ કર્યો હતો.
જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. રબારી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સગીરા પાસે લાઇસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ પીઆઈ પોતે ફરિયાદી બની સગીરાના પિતા સામે ગૂનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વાલીઓ પોતાના સગીર સંતાનોને સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે ટુ-વ્હીલર આપતા હોય છે અને જ્યારે અકસ્માત થાય ત્યારે પસ્તાતા હોય છે પણ હવે આવા કિસ્સામાં પોલીસ કડક હાથે કામ લેશે અને વાહન ચલાવવા આપનાર સામે ગુનો નોંધાશે.
અગાઉ પણ આવા કિસ્સાઓમાં માતા-પિતા વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે, પોલીસ ટૂંકમાં આ મામલે ડ્રાઇવ શરૂ કરશે.