આમ આદમી પાર્ટીના આગેવાન ઉમેદસિંહના મોત બાદ આનંદ નગર પોલીસે ઝીરો નંબરથી હત્યાની ફરિયાદ નોંધી આ બનાવ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી કાલુપુર પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે. ફરિયાદી એવા ઉમેદસિંહના પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડિસેમ્બર માસમાં તેમના પતિ ખાડીયામાં તેમના મિત્રો સાથે ગયા હતા ત્યાં એક યુવતીને મળ્યા હતા. બાદમાં ચાર પાંચ લોકોએ આવીને ઉમેદસિંહ પર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
મૂળ કચ્છના અને હાલ આનંદ નગરમાં રહેતા સરસ્વતીબેન ઉર્ફે શીતલબેન ઉમેદસિંહ ચાવડા પરીવાર સાથે રહે છે. તેમના પતિ અગાઉ સનાથલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની ધરાવી AMC કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ મેળવી વેપાર ધંધો કરતા હતા અને આમ આદમી પાર્ટી સાથે આગેવાન તરીકે જોડાયેલા હતા. જેમની ઓફીસ વિનસ એટલાન્ટા બિંલ્ડીંગમાં આવેલી છે. ગત તારીખ 30 મીના રોજ રાત્રે તેમના પતિ ઉમેદસિંહને ફોન કરતા ઉપાડ્યો ન હતો. આ પછી તરત જ તેમના પતિનો ફોન આવ્યો અને જણાવ્યું કે હું અડધા કલાકમાં ઘરે આવું છું. ત્યાર બાદ લગભગ એકાદ કલાક સુધી તેમના પતિ ઘરે ના આવતા સરસ્વતી બહેને અને તેમના પુત્રએ અવાર નવાર ફોન કરતા તેમના પતિએ ફોન ઉપાડ્યો ન હતો.
ત્યાર બાદ આશરે પોણા એક વાગે તેમનો દીકરો ફોન કરતો હતો. આ દરમ્યાન તેમના પતિનો ફોન કોઇ વ્યક્તિએ ઉપાડેલ અને કહેલ કે આલ્ફા બજાર ખાતેની ઓફીસે તાત્કાલિક આવી જાઓ. જેથી સરસ્વતી બહેન તેમના દીકરા સાથે તાત્કાલિક ઓફીસે ગયા હતા અને આ ઓફીસના સોફા ઉપર તેમના પતિ ઉમેદસિંહ અર્ધ બેભાન હાલતમાં પડ્યા હતા. તેમના મોઢા તથા કાનમાંથી લોહી નીકળતુ હતું અને કપાળ ઉપર ઢીમચું થયેલ હતુ. ઓફીસમાં કામ કરતા મહેશભાઇ ડામોરે 108માં ફોન કરતા એબ્યુલન્સ આવી અને તેમના પતિને સારવાર માટે પહેલા તપન હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પરંતુ તપન હોસ્પિટલમાં કોવીડ -19ના દર્દીની સારવાર થતી હોવાથી તેઓએ અન્ય હોસ્પિટલ લઇ જવા જણાવેલ હોવાથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં તેમના પતિની પ્રાથમિક સારવાર કર્યા બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવાયા હતા.
જ્યા તેમના પતિની સારવાર ચાલુ હતી અને આ વખતે સરસ્વતીબહેનને જાણવા મળ્યું કે તેમના પતિ ઉમેદસિંહ ચાવડાને તેમના મિત્રો પ્રતીકભાઇ ગજ્જર તથા આનંદ ગોસ્વામી લઇને ઓફીસે આવેલ હતા. ત્યાર બાદ તેમના પતિ સારવાર દરમ્યાન ગત તા. 1 ના રોજ મૃત્યુ પામ્યા હતા. પતિના મરણ થયા બાદ તેઓના મિત્ર પ્રતીકભાઇ ગજ્જર તથા આનંદ ગોસ્વામી સરસ્વતી બહેનને મળ્યા હતા અને જેઓને તેમના પતિને થયેલી ઇજાઓ બાબતે અવાર-નવાર પુછતા હતા. આ વિશે બન્ને જણાએ જણાવેલ કે 30મીના રોજ રાત્રીના 11 વાગે તેઓ ઉમેદસિંહ ચાવડા સાથે પ્રતિકની ઇકો ગાડી લઇ ખાડીયા ચાર રસ્તા પાસે ગયા હતા ત્યા એક અજાણી મહીલા ઉમેદસિંહને મળવા આવેલ હતી. આ મહીલા સાથે ઇકો ગાડીમાં થોડા આગળ ખાડીયા પેપર માર્કેટ ગેબીનાથ મહાદેવ મંદીર પાસે ગેબીનાથ પેપર માર્ટ નામની દુકાન આગળ ઇકો ગાડી ઉભી રાખેલ અને ઉમેદસિંહ ચાવડાએ તેમને ગાડીમાંથી નીચે ઉતારી દૂર મોકલી દીધા અને ઉમેદસિંહ ગાડીમાં બેઠા હતા.
આ વખતે ગાડી પાસે પાંચ થી સાત માણસો આવેલા અને ઉમેદસિંહ ચાવડાને ગાડીમાંથી ખેચી નીચે પાડી ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી અમે બંને તેમની પાસે જતા તે અમને પણ માર મારવા લાગ્યા હતા. આવેલ પાંચથી સાત માણસો પૈકી એક ઇસમ મુન્ના મુન્નાના નામની બુમો પાડતા હતા. તે હિન્દીમાં વાત કરતા હતા. મારામારી દરમ્યાન ઉમેદસિંહ ચાવડા નીચે પડી જતા તેઓને માથાના ભાગે ઇજાઓ થતા ઉમેદસિંહ ચાવડા અર્ધ બેભાન થઇ ગયેલ હતા. તેમના મોઢાના ભાગે તથા કાનમાં લોહી નીકળતુ હતું અને કપાળના ભાગે ઢીમચુ થયેલ હતું .
ત્યાર બાદ આ તમામ શખશો ત્યાથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ આ મિત્રો તેમને ગાડીમાં બેસાડી ઓફીસે લાવ્યા હતા . બાદમાં સરસ્વતી બહેને પતિની અંતિમવીધી બાદની તમામ વિધિ પુર્ણ કર્યા બાદ અમદાવાદ ખાતે આવ્યા અને આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે આવી પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે આ મુન્ના તથા તેની સાથે આવેલ બીજા અજાણ્યા ઇસમો વિરુધ્ધ તથા પોલીસ તપાસમાં નીકળે તે તમામ વિરુધ્ધ કાયદેસર ફરિયાદ નોંધી આ ફરિયાદ ઝીરો નંબરથી નોંધી કાલુપુર વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી કાલુપુર પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે.