ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસર સહિત કુલ 10 લોકોની પૂછપરછ કરીને નિવેદન લઈ શંકાસ્પદ જણાતા ચાર જેટલા કર્મચારીઓના મોબાઇલ ફોન જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ ગત તા.10 જુલાઈએ યોજાયેલી Bsc નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષા સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી.ત્યારબાદ જે તે સેન્ટરના ઓબ્ઝર્વર દ્વારા પરીક્ષાની ઉત્તરવહી બોટની વિભાગમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે બોર્ડની વિભાગમાંથી 28 ઉત્તરવહી ગાયબ થઈ હતી.
વહેલી સવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં હોબાળો કરીને ઉત્તરવહીની ગણતરી કરાવી ત્યારે 28 ઉત્તરવહી ઓછી હોવાનું માલુમ પડ્યું હતું.
ઉત્તર વહીઓ ગાયબ થવા મામલે
NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે 28 ઉત્તરવહી ગાયબ થઈ તે તમામના નામ અને કોલેજના નામ ભેગા કર્યા હતા.
ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
12 જુલાઈએ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો.
પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલી ઉત્તરવહી ગાયબ થઈ તેનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નહતો.
પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જે વિભાગમાંથી ઉત્તરવહી ગાયબ થઈ તે વિભાગના કાયમી કર્મચારી, જોબ ટ્રેની અને પ્રોફેસર સહિત 10 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થઈ છે, તે તમામ વિદ્યાર્થીઓને ગતરોજ સોમવારે 17 જુલાઈએ નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.
આ મામલો હવે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.