—મુખ્યમંત્રીએ વીર શહીદના નિવાસસ્થાને પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં
–રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ મહિપાલસિંહ વાળાને વિદાય આપવામાં આવી
અમદાવાદમાં વિરાટનગર-ઓઢવ ખાતે શહીદયાત્રામાં પ્રચંડ જનમેદની ઉમટી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યઓએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં વીરગતિ પામ્યા છે.
શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
શહીદયાત્રામાં વિરાટનગર-ઓઢવ ખાતે ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ શહીદને યથોચિત વિદાય આપી હતી.
ગુજરાતના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા જાણે કે આખું અમદાવાદ ઉમટી પડ્યું. શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રામાં જંગી જનમેદની ઉપસ્થિત રહી. અબાલવૃદ્ધ સૌ કોઇ સપૂતના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. આ દરમિયાન ‘શહીદ જવાન અમર રહો’ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.
સેનાના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ સમયે મહિપાલસિંહના પત્ની અને માતા સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ હતી.