અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી ઉપર પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડવા માટે વર્ષ 1962માં નહેરુ બ્રીજ બાંધવામાં આવ્યો હતો. જે બ્રીજ નો અમુક હિસ્સો ખખડધજ થતા હવે તેના રીપેરીંગ માટે કોર્પોરેશન દ્વારા આશરે રૂપિયા 2.54 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં બ્રીજ પર પડેલી તિરાડ સહીત અનેક રીતે રીપેરીંગ કરવાનું હોવાથી 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી નહેરુ બ્રિજને બંધ કરવામાં આવશે, જેના કારણે આશ્રમ રોડ પરથી નહેરુબ્રિજ થઈને શહેરમાં જતા વાહન ચાલકોને થોડી અગવડ પડશે પરંતુ રીપેરીંગ કરવું જરૂરી છે, કારણ કે નહેરુબ્રીજ ને બને લગભગ 58 વર્ષ થઈ ચુક્યા છે અને તેની નીચેની બેરીગો પણ ત્રાસી થઈ ગઈ છે. તે પણ બદલવાની છે, અગાઉ જેમ સુભાષબ્રીજ નું જેવી રીતે રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે નહેરુબ્રિજનું પણ સમારકામ કરવાનું હોવાથી પંદર દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે, તેમના માટે વૈકલ્પિક રૂટ તરીકે એલીસબ્રીજ અથવા તો ગાંધીબ્રીજ નો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે.