અમદાવાદમાં તંત્રની બેદરકારી પ્રકાશમાં આવી છે. જે મુજબ એક વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ તેમના પરિવારજનો ઉપર ફોન આવ્યો હતો કે, “કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોઈ તેમને સારવાર માટે ટિમ લેવા આવી રહી છે.” અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું ઘર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બિ દિવસ પહેલા 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. તેવાં આજે ફરી એકવાર સિવિલ હોસ્પિટલને લઇને વિવાદ સામે આવ્યો છે. એક દર્દીના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ પરિવારને કોરોના અંગેની જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જેમાં શહેરના ઓઢવ વિસ્તારના 57 વર્ષીય વ્યક્તિનું 2 દિવસ પહેલા અવસાન થયું હતું. આ દર્દીને પેરાલીસીસ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો નિયમ પ્રમાણે કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો રિપોર્ટ આવે તે પહેલા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. રજા આપ્યા બાદ ઘરે લાવતા તેમનું અવસાન થયું હતું. બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ પરિવારને જાણ કરી હતી કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટિમ તેમની સારવાર માટે લેવા આવે છે. આમ, કોર્પોરેશનની વધુ એક વાર ગંભીર બેદરકારી છતી થઇ હોય તેવું ચિત્ર ઉભું થયું છે.