હાલ સુરતમાં ટ્રાવેલ્સ એસોસિએશને એક પણ બસને શહેરમાં પ્રવેશવા નહીં દેવાનો નિર્ણય લીધો છે, ત્યારે સુરતના આ નિર્ણયના પડઘા અમદાવાદમાં પણ સંભળાયા છે, તેવી માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી રહી છે.
એસોસિએશને માંગ કરી છે કે રાત્રે 9.30 થી સવારે 8.00 વાગ્યા સુધી અને બપોરે 1.00 થી 4.00 વાગ્યા સુધી બસોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. તેમજ જો માંગ નહીં સંતોષાય તો 28મી ફેબ્રુઆરીથી ખાનગી લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. રીંગરોડ પર બસો રોકાશે, મુસાફરોને રીંગરોડથી પોતાની વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવશે.
દરમિયાન સુરત ટ્રાવેલ્સ એસોસિએશને મંગળવારથી શહેરમાં એક પણ ખાનગી બસને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદમાં પણ સુરત જેવી સ્થિતિ અને વિવાદો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટ યુનિયન દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર મોકલવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
એસોસિએશને તેની માંગણીમાં કહ્યું છે કે અમારી બસોને રાત્રે 9.30 થી 8.00 અને બપોરે 1.00 થી 4.00 દરમિયાન શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ. આ સાથે એસોસિએશને એમ પણ કહ્યું કે જો અમારી માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો સુરતમાં જોવા મળી રહી છે તેમ અમદાવાદમાં પણ રીંગરોડ પર બસો ઉભી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદમાં નિયમો અનુસાર રાત્રે 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જ બસોને મંજૂરી આપવામાં આવે છે.