અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષપદને લઇને કોંગ્રેસના ચારેય ધારાસભ્યો વચ્ચે રાજકીય ખેંચતાણ જામી છે. આંતરિક જૂથવાદ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષપદેેથી દિનેશ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જામતાં ભાજપને ભાવતુ ભોજન મળ્યુ છે. ભાજપ આ જૂથબંધીનો ભરપુર રાજકીય લાભ ઉઠાવી શકે તેવી પરિસિૃથતીનું નિર્માણ થયુ છે.
ઉલ્લેખનીય છે કે શહેરની મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે. આ દરમિયાન શહેર કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ જીદ લઇ મોવડીમંડળને રજૂઆત કરી હતીકે, વિપક્ષપદેથી દિનેશ શર્માને હટાવો. આ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવી એવી રજૂઆત કરી હતીકે, મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરીજનોમાં ખોટો સંદેશ જશે. જોકે, એવી ચર્ચા છેકે, રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વચન માંગ્યુ હતુંકે, દિનેશ શર્માની ટર્મ પૂર્ણ થતાં તેમને વિપક્ષપદેથી હટાવજો.
જયપુર રિસોર્ટમાં પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં અપાયેલુ વચન કોંગ્રેસે નિભાવ્યુ હતું. બે ધારાસભ્યોની જીદ સંતોષાઇ છે પણ બે ધારાસભ્યો રિસાયા છે. પેટાચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ વધુ વકરે તેમ છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરની સ્ક્રીનીંગ કમિટીમાંથી દિનેશ શર્માનુ પત્તુ કાપી મળતિયાઓને ટિકીટ આપવા વિપક્ષપદ હટાવવા કારસો રચાયા હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.
ખુદ કાર્યકરો જ કહી રહ્યાં છેકે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંગઠન પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમના પ્રમુખકાળમાં 20 થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. મ્યુનિ.ચૂંટણી વખતે કોંગ્રેસમાં ડખાં થતાં ભાજપ રાજકીય લાભ લેવા ટાંપીને બેઠુ છે. દિનેશ શર્માએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામુ મોકલી આપ્યુ છે પણ મ્યુનિ.કોર્પોરેશનના સેક્રેટરીને હજુ રાજીનામુ મોકલ્યુ નથી.
જે બાદ દિનેશ શર્માના સમર્થકો આજરોજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા અને દિનેશ શર્મા ના સમર્થનમાં નારા લગાવ્યા હતા.પરંતુ દિનેશ શર્માના જે સમર્થકો મુંડન કરવાની વાત ને લઈ ને જે વિરોધ કરવા આવ્યા હતા તે મુદ્દા ને ફેરવી તોંર્યો હતો ને જણાવતા હતા કે આ મેસેજ કોઈ ગેરસમજ થી ઉભો થયો છે.
આ વિરોધ કરવા આવેલની આગેવાની બાપુનગર વોર્ડના પ્રમુખ અને દિનેશ શર્મા ના ખાસ માણસ તરીકે કાર્યરત ડો.અમિત નાયક દ્વારા અને તેમની સાથે આવેલ અનેક કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટનસિંગ ના લીરેલીરા ઉડાડતા નજરે પડ્યા હતા અને તેમાંના ઘણા લોકો તો માસ્ક પહેરવા વગર જ જાણે કોરોના ને આમંત્રણ આપવા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
દિનેશ શર્માના સમર્થકો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય પહોંચી આવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને કોંગ્રેસ કાર્યાલય ના ગેટ ઉપર જ પોલીસ સ્ટાફ ને તહેનાત કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ કોંગ્રેસ ના મોવડીમંડલ માંથી ફોન આવ્યો કે પછી ખુદ દિનેશ શર્મા એ જ ફોન કર્યો હશે કે શું ? થોડીજ વાર ખાલી ટોળું ભેગું કરી ને નામના મેળવવા જ દિનેશ શર્માએ આ લોકોને આગળ કર્યા કે શું ? તેવા અનેક સવાલો વહેતા થયા હતા અને ગણતરીના સમય માં જ ટોળું વિખેરાઈ ગયું હતું.જેથી કોના કહેવાથી આ ટોળું અહીંથી નીકળી ગયું તે પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે.