અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષપદને લઇને કોંગ્રેસના ચારેય ધારાસભ્યો વચ્ચે રાજકીય ખેંચતાણ જામી છે. આંતરિક જૂથવાદ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષપદેેથી દિનેશ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જામતાં ભાજપને ભાવતુ ભોજન મળ્યુ છે. ભાજપ આ જૂથબંધીનો ભરપુર રાજકીય લાભ ઉઠાવી શકે તેવી પરિસિૃથતીનું નિર્માણ થયુ છે.
ઉલ્લેખનીય છે કે શહેરની મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે. આ દરમિયાન શહેર કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ જીદ લઇ મોવડીમંડળને રજૂઆત કરી હતીકે, વિપક્ષપદેથી દિનેશ શર્માને હટાવો. આ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવી એવી રજૂઆત કરી હતીકે, મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરીજનોમાં ખોટો સંદેશ જશે. જોકે, એવી ચર્ચા છેકે, રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વચન માંગ્યુ હતુંકે, દિનેશ શર્માની ટર્મ પૂર્ણ થતાં તેમને વિપક્ષપદેથી હટાવજો.
જયપુર રિસોર્ટમાં પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં અપાયેલુ વચન કોંગ્રેસે નિભાવ્યુ હતું. બે ધારાસભ્યોની જીદ સંતોષાઇ છે પણ બે ધારાસભ્યો રિસાયા છે. પેટાચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ વધુ વકરે તેમ છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરની સ્ક્રીનીંગ કમિટીમાંથી દિનેશ શર્માનુ પત્તુ કાપી મળતિયાઓને ટિકીટ આપવા વિપક્ષપદ હટાવવા કારસો રચાયા હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.
ખુદ કાર્યકરો જ કહી રહ્યાં છેકે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંગઠન પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમના પ્રમુખકાળમાં 20 થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. મ્યુનિ.ચૂંટણી વખતે કોંગ્રેસમાં ડખાં થતાં ભાજપ રાજકીય લાભ લેવા ટાંપીને બેઠુ છે. દિનેશ શર્માએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામુ મોકલી આપ્યુ છે પણ મ્યુનિ.કોર્પોરેશનના સેક્રેટરીને હજુ રાજીનામુ મોકલ્યુ નથી.