શહેરમાં નજીવા કારણોમાં લોકો પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને બાદમાં મારામારી કે અન્ય ગુનાને અંજામ આપતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો છે. જેમાં એક કર્ણાવતી દાબેલી સેન્ટર પર સોસ સારી ક્વોલિટીનો છે કે કયો છે એવું પૂછનાર ગ્રાહકને દારૂ પીધેલો છે અને અગાઉ પણ બબાલ કરી ચુક્યો છે તેમ કહી દુકાનવાળા તૂટી પડયા હતા. સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
શાહીબાગમાં રહેતા રવિભાઈ અગ્રવાલ કમિશન એજન્ટ તરીકે વેપાર કરે છે. ત્રણેક દિવસ પહેલા તેમના મિત્રને લોન કન્સલ્ટિંગ માટે સરદાર સેન્ટર પર બોલાવ્યા હતા. ત્યારે રવિભાઈએ ત્યાં આવેલી કર્ણાવતી દાબેલી સેન્ટરમાં એક દાબેલી અને એક વડાપાવનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં આ કયો સોસ છે? તેવું પૂછતાં દુકાનમાં બેઠેલા વ્યક્તિએ બોટલવાળો સોસ છે લેવો હોય તો લો. જોકે રવિભાઈએ સોસ ન લેવાનું કહી અને ચટણી માંગી હતી.
બાદમાં દુકાનદાર તમે દારૂ પીધેલા છો અને માથાકૂટ કરો છો તેમ કહી બબાલ શરૂ કરી હતી. થોડીકવાર બાદ તેમના એક મિત્ર આવ્યા હતા અને શાહીબાગ એક મકાન જોવા જવાનું હોવાનું કહી તેમને લઈ જતા હતા. તે સમયે પણ આ દુકાનના લોકોએ ભેગા થઇ રવિભાઈ સાથે બબાલ શરૂ કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ફરિયાદી રવિભાઈ અગાઉ પણ અનેક વખત ત્યાં આવીને માથાકૂટ કરી બબાલ કરતા હતા. બાદમાં આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી અને રવિભાઈને દુકાનના લોકોએ ભેગા થઈને માર મારતાં તેઓને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડ્યા હતા.
બાદમાં વસ્ત્રાપુર પોલીસને આ અંગે જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસે દુકાનના શેઠ અને કારીગર સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.