જમાલપુરનો એક પોલીસનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મીઓ પોતાની ગાડીમાંથી ઉતરી શાકભાજી વેચનારાઓની લારીઓ ઉંધી કરી પોલીસકર્મીઓ વજનકાંટો અને શાકભાજી લઈ રવાના થઇ રહ્યા છે.
હાલ રાજયમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવનારા પોલીસ કર્મીઓનોની અસલિયત સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયો જમાલપુરમાં આવેલ મીર્ચી પોળનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં પોલીસની ગાડી એક શેરી પાસે ઉભી રહે છે અને ગલીમાં શાકભાજી વેચનાર બે ફેરિયાઓની લારી ઉંધી કરી દે છે અને વજનકાંટા સહિત શાકભાજી લઈ રવાના થઈ જાય છે.
અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ 57 કલાકનો કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. જેમા શહેરીજનોએ પોલીસને સારો એવો સાથ પણ આપ્યો હતો. જ્યારે રોજ-રોજ મહેનત કરી પેટિયું રળતા ફેરિયાઓ ધંધો કરવા નીકળ્યા હતા. ત્યારે પોલીસની દાદાગિરીને કારણે તેમને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ હતી.
સત્ય ડે ની ટીમ દ્વારા શનિવાર ના રોજ હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઈ. પરમાર ની પોલ ખોલતો એક વિડિઓ લાવ્યા હતા જેમાં અમદાવાદ શહેરમાં કરફ્યુ હોવા છતાં પણ હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઈ. પરમાર ની રહેમ રાહે દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો જે આજે પણ ચાલુ જ છે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી અને જે લોકો પોતાનું પેટિયું રળવા શાકભાજી નો ધંધો કરી રહયા છે તે લોકોને હવેલી પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે લોકો હવેલી પોલીસ સ્ટેશનમાં હપ્તા આપી રહ્યા છે તે લોકોને પી.આઈ. પરમાર દ્વારા પરેશાન કરવામાં આવતા નથી અને ગરીબો જે પોતાની આજીવિકા માટે શાકભાજીનો ધંધો કરી રહ્યા છે તે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે કારણકે તે લોકો હપ્તો આપી શકતા નથી.