અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂએ માતાને વાળ ખેંચી ઢોર માર મારી ગાળો આપી હતી. સાસુએ વહુ પાસે ખેંચની દવા માંગી હતી. જે આપવાની વહુએ ના પાડી હતી. જેથી તેઓ દીકરીના ઘરે જતાં રહ્યાં હતાં. પરત આવતા વહુએ આ તમારું ઘર નથી જતાં રહો એમ કહ્યું હતું. નવરંગપુરા પોલીસે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા મ્યુનિસિપલ સરકારી ક્વાટર્સમાં રહેતા શાંતાબેન દંતાણીયા તેમના પુત્ર જગદીશ અને પુત્રવધૂ કર્મીતા સાથે રહે છે. 20 ઓગસ્ટના રોજ રાતે શાંતાબેને કર્મીતા પાસે ખેંચની દવા માંગી હતી. જે દવા આપવાની તેણે ના પાડી હતી. જેથી શાંતાબેન ઘાટલોડિયા ખાતે તેમના દીકરીના ઘરે જતા રહ્યા હતા.
બીજા દિવસે સવારે તેમના ઘરે પરત આવ્યા હતા. જેથી કર્મીતાએ કહ્યુ હતું કે, કેમ કોઈએ ના રાખ્યા? અહીંયા શુ્ં કામ આવ્યા છો? આ તમારું ઘર નથી. અહીંયાંથી જતા રહો.
શાંતાબેને કહ્યું હતું કે, આ મારું મકાન છે અને હું અહીંયા જ રહેવાની છું તમે બંને ખોટા હેરાન કરો છો. જેથી બંને પતિ-પત્ની ઉશ્કેરાઈ ગયા હતા અને શાંતાબેનના વાળ પકડી માર માર્યો હતો. તેમજ ગાળાગાળી કરી હતી. આસપાસના લોકોએ આવી તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.