અમદાવાદ :આવતીકાલ 1 જૂનથી રાજ્યભરમાં અનલોક 1નો અમલ થવાનો છે. ત્યારે અમદાવાદમાં પણ અનલોક-1ને લાગુ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી) દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને શહેરના પરિવહન પર ધ્યાન આપવામાં આવ્યું છે. એએમસી દ્વારા શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 1 જૂન, સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસ (AMTS – BRTS) બસ સેવા શરૂ કરાશે. જોકે, નિયત સંખ્યા કરતા અડધી સંખ્યામાં જ આ બસો દોડાવવામાં આવશે. આ સાથે જ બસમાં 50 ટકા જ મુસાફરોનું પરિવહન કરાશે.
બસોનું સંચાલન સવારે 7.00 વાગ્યાથી સાંજે 7.00 વાગ્યા સુધી લિમિડેટ રૂટ પર કરવામાં આવશે. કુલ 61 રુટ પર 335 બસો મળીને કુલ 385 બસોનું સંચાલન કરવાનું આયોજન છે. મુસાફરોને નક્કી કરેલા સ્ટોપેજની ટિકીટ જ આપવામાં આવશે. બસના રૂટની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં જુદા જુદા વિસ્તારો જેવા કે, નેનપુર ચોકડી, નાના ચિલોડા વગેરે રૂટોને શહેરના કન્ટેઈનમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી હાટકેશ્વર, નરોડા, સારંગપુર, કાલુપુર સુધી બસો સંચાલિત કરવામાં આવશે. પશ્ચિમ વિસ્તારના કાંસીન્દ્રા ગામ, બાકરોલ ગામ, સાણંદ, રજોડા, પાટીયા, મટોડા પાટીયા, રાણીપ, ઘુમા વગેરે રૂટોને શરેહના કન્ટેઈનમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ડાયવર્ટ કરાયા છે. પશ્વિમ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી વાસણા, પાલટી, નટરાજ, વાડજ સુધી બસો સંચાલિત કરવામાં આવશે.
શહેરમાં સોમવારથી બસ સેવા શરુ થવાની હોવાની BRTS બસમાં અત્યારથી જ વિશેષ સ્ટીકર લગાવાયા છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરવું તે સમજાવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા હશે. આ સાથે જ બસોના ડ્રાઈવર તથા કંડક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ડ્રાઇવરોએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા ફરજીયાત રહેશે અને તેમને સેનેટાઇઝર આપવામાં આવશે. બસની અંદરની સાઈડ, બહારની સાઈડ, બસ ટર્મિનસ, ઈન્ચાર્જની ઓફિસો અને કાર્યાલય પણ રોજેરોજ સેનેટાઈઝ થાય તેની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બસમાં દરેક મુસાફરોને માસ્ક પહેરવું ફરજિયાત છે. કોઈપણ કર્મચારી જો માસ્ક વગર કે થૂંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જનમિત્ર કાર્ડનો મહત્તમ ઉપયોગ થાય તે માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે રહીને જનમિત્ર કાર્ડ પ્રવાસીઓ માટે તરત ઈસ્યુ થાય તેવા પ્રયત્નો કરવામા આવશે.