સાંપ્રદાયિક સૌહાર્દ, શાંતિ અને ટીમ ભાવનાનો સંદેશો ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે, અમદાવાદ પોલીસ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે 1 જુલાઈએ જૂના શહેરના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. આ મેચોમાં ભાગ લેનારી ટીમોમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના સભ્યો હશે. અધિકારીએ જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ સાથેના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હિંદુ અને મુસ્લિમોની બે ટીમો બનાવવામાં આવશે.
1 જુલાઈના રોજ 145મી રથયાત્રા યોજાશે
1 જુલાઈના રોજ જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ મંદિરથી 145મી રથયાત્રા કાઢવામાં આવશે. જોઈન્ટ પોલીસ કમિશનર (સેક્ટર એ) આર. વી. અસરીએ કહ્યું, “અમે રથયાત્રાના રૂટ પર આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ ખેલાડીઓની બનેલી મિશ્ર ટીમ બનાવી રહ્યા છીએ. આ વિસ્તારોમાં ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.” તેમણે કહ્યું કે આ પાછળનો વિચાર બંને સમુદાયના સભ્યોને એકબીજાને વધુ સારી રીતે સમજવા અને સંકલન અને ટીમ ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.