અમદાવાદ : ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા અમદાવાદ આવેલા શાર્પશૂટરની 19 ઓગસ્ટે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ઝડપાયેલા શાર્પશૂટર મોહંમદ ઈરફાનને પકડ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા ઓપરેશનમાં જોડાયેલા પોલીસકર્મીમાં ફફડાટ ફેલાયો છે. હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટીન કરવામાં આવશે અને તેના રિકવર થયા બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ એટીએસની ટીમમાં સામેલ તમામ પણ હોમ ક્વોરેન્ટીન થશે.
આરોપીની ધરપકડ બાદ સામે આવેલી માહિતી મુજબ, છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં રહીને રેકી કરતા આ શાર્પશૂટરના નિશાના પર અનેક રાજકીય નેતાઓ હતો. અમદવાદના રિલીફ રોડ પર આવેલી હોટલ વિનસમાંથી ગુજરાત એટીએસની ટીમ દ્વારા શાર્પશૂટર મોહંમદ ઈરફાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી ભાગવામાં સફળ રહ્યો છે.