અમદાવાદ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ 160થી 170ની આસપાસ આવી રહ્યાં છે. ત્યારે ગઈકાલે શહેર અને જિલ્લામાં કુલ 179 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 167 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,841 થયો છે. જ્યારે 24,735 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને મૃત્યુઆંક 1,677 થયો છે.
આમ છેલ્લા 13 દિવસથી દૈનિક મૃત્યુ પાંચથી ઓછા રહ્યા છે. છેલ્લે 8 ઓગસ્ટે 5 દર્દીના મોત થયા હતા. 20 ઓગસ્ટની સાંજથી 21 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 156 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 156 અને જિલ્લામાં 11 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.