અમદાવાદમાં બિલ્ડર લોબીમાં મોટું નામ ગણાતા મનીષ શાહના એસજી હાઇવે સ્થિત વેસ્ટગેટ પ્રોજેકટમાં ગાર્ડન એરિયામાં કહેવાતા ઇ ટાવરના ગેરકાયદે બાંધકામ અંગે સત્યડેમાં અહેવાલો આવતા આખરે મનપાનાજવાબદાર તંત્રમાં સળવળાટ જણાયો છે અને હવે આ ગેરકાયદે બાંધકામમાં શુ પગલાં ભરવામાં આવે છે તેની ઉપર મીટ મંડાઈ છે.
એસજી હાઇવે ઉપર વેસ્ટગેટના મસમોટા પ્રોજેકટમાં પાછળથી વધુ એક ટાવરનું ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ ઉભું કરી રોકડી કરી લેવાનો તખ્તો ગોઠવી કામ પુરજોશમાં શરૂ થતા હવે આ ગેરકાયદે બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
બિલ્ડર મનીષ શાહે નિયમો વિરુદ્ધ બાંધકામ તાણી બાંધ્યુ તે બાબતે સત્યડેમાં અહેવાલો આવતા હવે દક્ષિણ પશ્ચિમ ઝોનના ધ્યાને આવતા વેસ્ટગેટના કોમર્શિયલ બિલ્ડિંગમાં હવે ઇ ટાવરના બાંધકામ મામલે તપાસના અંતે કેવા પગલાં ભરાય છે તે જોવું રહ્યું.
વેસ્ટગેટના ઈ ટાવરનું નિયમ વિરુદ્ધનું બાંધકામ ગાર્ડનની જગ્યામાં જ શરૂ થઇ જતા આસપાસના લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોન ના એસ્ટેટ અધિકારી કાન્તનુંની આ બાંધકામ અટકાવવા કે તોડવા સહિતની કાર્યવાહી કરવા શુ મજબૂરી છે તે સામે સવાલો ઉઠી રહયા છે, અલબત્ત બિન્દાશ ચાલી રહેલા આ બાંધકામમાં મોટો વહીવટ થયાની ચર્ચાઓ વેગવંતી બની છે.
અમદાવાદમાં સબંધિત તંત્ર પારદર્શક રીતે કામ કરેતો આવા બાંધકામો થઇ જ ન શકે.
જોકે, ગેરકાયદે બાંધકામ કરવા દેવા માટે ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે એ કોઈ નવી વાત નથી. પાસ થયેલો પ્લાન કંઈક જૂદો હોય અને અસ્તિત્વમાં આવતું કોમ્પલેક્સ કંઈક જૂદું જ હોય છે. તેમ છતાં બાંધકામને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મળે છે. વીજ, ગટર અને પાણીનું જોડાણ પણ મળી જાય છે જે ખુલ્લેઆમ થતા ભ્રષ્ટાચારની ઝલક માત્ર છે અને ઇમ્પેક્ટ ફી ભરાવીને કાયદેસર થયેલા બાંધકામોમાં નિયમ પાલનોનું શું? તે પણ એક ગંભીર બાબત છે.
આવા સમયે વેસ્ટગેટ પ્રોજેકટ માંતો મસમોટા આખેઆખા ટાવરનું બાંધકામ ઉભું કરી દેવાયું અને હવે મોડે મોડે તપાસના નામે ફિન્ડલુ વળી જાય છે કે ખરેખર એક્શન લેવામાં આવશે તે તો સમયજ બતાવશે.