અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર તેવા દરિયાપુર, શાહપુર, ખાડીયામાં હાલ કોરોના પોઝિટિવના વધુ કેસ આવી રહ્યા છે. શરૂઆતમાં લોકો નિયમોનો ભંગ કરતાં હતા તે માટે આ વિસ્તારોની જવાબદારી IPS અધિકારી શમશેરસિંઘને આપવામાં આવી હતી, તેમણે આ વિસ્તારનું નેતૃત્વ સંભાળતા જ હવે નવા આઈડિયા પ્રમાણે પોલીસ પાસે તેઓ કામ લેવડાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ખાડીયા વિસ્તારની મુલાકાત લીધી હતી, તેઓએ શેરીઓમાં જઈને ખાતરી કરી હતી કે આ વિસ્તારમાં હાલ શુ પરિસ્થિતિ છે. આ વિસ્તારોની જવાબદારી IPS અધિકારી શમશેરસિંઘને આપવામાં આવતા સીપી એ તેમની સાથે પણ સંકલન કરીને ચર્ચા કરી હતી.
આ દરમિયાન IPS શમશેરસિંઘે જણાવ્યું કે, હાલ આ વિસ્તારોમાં નિયમિત રીતે લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને પોલીસ ચેક ન કરે તે માટે નિરીક્ષણ થઇ રહ્યું છે. અમે ડિકોય ટિમ પણ બનાવી છે. આ ટીમના લોકો ખાનગી વાહનોમાં અહીંથી પસાર થાય છે તે પોલીસ છે તેવી ઓળખ ન થાય તે માટે આ ટીમ રાખવામાં આવી રહી છે. તે લોકોનું ચેકિંગ કેવી રીતે થાય છે, યોગ્ય કામગીરી પોઇન્ટ પર છે કે કેમ તે બાબતો ચકાસવામાં આવે છે.
જો કોઈ પોઇન્ટ પર યોગ્ય કામગીરી ન થાય તો, આ ડિકોય ટીમના લોકો જાણ કરે છે અને પગલા લેવાય છે સાથે સાથે એક વિડીયો ગ્રાફર પણ મુકવામાં આવ્યો છે જે આખા દિવસનું વિડીયો રેકોર્ડિંગ કરે છે અને તેનું મોનિટરીંગ પણ કરવામાં આવે છે.