અમદાવાદ: આજકાલ કહેવાતા સાધુઓની કામલીલાઓ મોટાપ્રમાણમાં બહાર આવી રહી છે. કેટલાક તકવાદી સાધુઓ તો જેલની હવા પણ ખાઈ રહ્યા છે. આવા જ વધુ એક સાધુનું પ્રેમ પ્રકરણ આજકાલ ચર્ચામાં આવ્યું છે. ઈસ્કોન મંદિરનો એક પૂજારી મંદિરના જ સિક્યુરિટી ગાર્ડની પત્ની અને તેની બે દિકરીઓને લઈને પલાયન થઈ ગયાની ઘટના બહાર આવી છે. ભાગતા પહેલા પૂજારીએ તેની પ્રેમિકાને છુટાછેડા લેવડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેટેલાઈટ પોલીસે આરોપી પૂજારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં એસ.જી.હાઈવે પર ઈસ્કોન મંદિર કોમ્પ્લેક્ષમાં વિજયસિંહ મહાજનસિંહ ચૌધરી (૩૯) છેલ્લા સોળ વર્ષથી તેના પરિવાર સાથે રહેતો હતો. મૂળ રાજસ્થાનનો વિજયસિંહ ઈસ્કોન મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઈસ્કોન મંદિરમાં તે ઘણા સમયથી નોકરી કરતો હોઈ તેની પત્ની અવારનવાર પૂજા કરવા મંદિરમાં આવતી હતી. તે સમયે મંદિરમાં સેવાપૂજા કરતા સુદામા નામના પુજારી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ અંગે વિજયસિંહને જાણ થતા તેણે પત્નીને સમજાવી હતી. તે સમયે તેણે હવે તે આમ નહી કરે તેવો ભરોસો આપ્યો હતો.
દરમિયાન પૂજારી સુદામાએ પ્રેમિકાને ભગાડી જવાની પુરી તૈયારી કરી લીધી હતી અને 27 એપ્રિલ,2017 નાં રોજ વિજયસિંહ સાથે નોટરી કરાર કરી તેની પત્ની સાથે છુટાછેડા લેવડાવ્યા હતા. બીજીતરફ વિજયસિંહની જાણ બહાર સુદામા સિક્યુરિટી ગાર્ડની પત્ની અને તેની બે દીકરીઓને લઈને ભાગી ગયો હતો. વિજયસિંહને તે બનારસ ઈસ્કોન મંદિર ગયો હોવાની જાણ થતા તેણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સુદામા પરણિત અને સંતાનનો પિતા હોવા છતા આશાને લઈને ભાગી ગયો હતો.
વિજયસિંહે આ અંગે ગત 2 ફેબ્રુઆરીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પૂજારી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ. ડી.બી.રાણાના જણાવ્યા મુજબ આરોપી બનારસ ઈસ્કોન મંદિરમાં સ્થાયી થયો હોવાની જાણ થતા અમે એક ટીમ બનારસ મોકલવાની તજવીજ હાથ ધરી છે.