કોલ્ડપ્લે કોન્સર્ટમાં મેટ્રોએ સર્જ્યો રેકોર્ડ: માત્ર ૨ દિવસમાં ૪ લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી મચાવી ધૂમ
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવા હવે ઝડપી અને વિશ્વસનીય પરિવહનનું સબળ માધ્યમ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત ૧૧ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ-૨નું લોકાર્પણ કર્યા બાદ મુસાફરોની સુવિધામાં અનેકગણો વધારો થયો છે. મેટ્રોના વિસ્તારને કારણે હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે, જેનાથી સામાન્ય નાગરિકોની મુસાફરી સસ્તી અને સુગમ થઈ છે.
હજારો વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને સીધો લાભ
મેટ્રો નેટવર્કના વિસ્તરણથી ગાંધીનગર રેલવે સ્ટેશન અને મહાત્મા મંદિર વચ્ચે સીધું જોડાણ મળ્યું છે. આ ઉપરાંત અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા પ્રવાસન સ્થળોએ પહોંચવું હવે પ્રવાસીઓ માટે સરળ બન્યું છે. કડી સર્વ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે મેટ્રો આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાસ કરીને મહાત્મા મંદિરમાં યોજાતા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં આવતા મહેમાનોને હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
૩ વર્ષમાં ૧૧.૫૦ કરોડથી વધુ લોકોએ કરી સવારી
મેટ્રો મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ઓક્ટોબર ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન કુલ ૧૧.૫૦ કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં સફર કરી છે. વર્ષ ૨૦૨૩માં માસિક સરેરાશ ૧૨ થી ૨૭ લાખ મુસાફરો નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫માં વધીને પ્રતિ માસ ૪૪ લાખ સુધી પહોંચી ગયા છે. આ આંકડા દર્શાવે છે કે શહેરીજનોમાં મેટ્રો પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે અને લોકો ખાનગી વાહનોને બદલે મેટ્રોને પ્રાધાન્ય આપી રહ્યા છે.
ઈવેન્ટ્સમાં મેટ્રોની કમાલ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં ૪.૧૧ લાખ મુસાફરો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આઈપીએલ મેચો અને રથયાત્રા જેવા પ્રસંગોએ મેટ્રો મુસાફરોનો ધસારો હંમેશા વધુ રહે છે. જોકે, ૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન માત્ર બે દિવસમાં ૪.૧૧ લાખથી વધુ મુસાફરોએ મેટ્રોનો લાભ લીધો હતો, જે એક નવો રેકોર્ડ છે. ૬૮ કિમીના નેટવર્ક અને ૫૩ સ્ટેશનો સાથે અમદાવાદ મેટ્રો હવે ગ્લોબલ અર્બન સેન્ટર બનવાની દિશામાં ગુજરાતનું મહત્વનું સીમાચિહ્ન બની ગઈ છે.

