કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે અમરેલીમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, લાઠી અને લીલીયા તાલુકાના ગામોને મળશે લાભ
અમરેલી જિલ્લાના વરસડા ગામે ‘ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા’ યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના પાછળ અંદાજે રૂ. ૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વોટર ફિલ્ટર પ્લાન્ટ અને આધુનિક પંપ હાઉસ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે, જેનાથી છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.
૫૦ ગામડાઓને મળશે પીવાનું શુદ્ધ પાણી અને તળાવનું થશે નવીનીકરણ
આ નવી જૂથ પાણી પુરવઠા યોજના સાકાર થવાથી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ ૫૦ ગામડાઓને પીવાના શુદ્ધ પાણીનો મોટો લાભ મળશે. આ સાથે જ વરસડામાં આવેલા જૂના તળાવને રૂ. ૧૯ લાખના ખર્ચે નવું રૂપ આપવા માટે રિનોવેશન કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી દૂર થશે અને સ્થાનિક જળ સ્ત્રોતો પણ મજબૂત બનશે, જે ખેતી અને પશુપાલન માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
‘જલ જીવન મિશન’ દ્વારા ગામડાઓમાં પાણીની સમસ્યા બની ભૂતકાળ
લોકાર્પણ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આજે સામાન્ય નાગરિકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામડાઓમાં પીવાના પાણી માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ હવે ફિલ્ટર પ્લાન્ટ દ્વારા ઘરે-ઘરે શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ઉમેર્યું કે ‘હર ઘર જલ’ અભિયાન હેઠળ નર્મદાના નીર દરેક ઉંબરે પહોંચ્યા છે, જેના કારણે પાણીની વિકરાળ સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે.
સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સરકારી યોજનાઓ ઘરઆંગણે પહોંચી
વરસડા મુકામે યોજનાના લોકાર્પણની સાથે ‘તાલુકા સેવા સેતુ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી દાખલાઓ અને યોજનાઓના લાભો સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અને સ્થાનિક સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પારદર્શક વહીવટના કારણે આજે સરકારી સેવાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી રહી છે.

