નવી દિલ્હીમાં ‘જલ મહોત્સવ-૨૦૨૬’માં ડાંગ જિલ્લાની ઝળહળતી સિદ્ધિ, સંગીતાબેન દેશમુખને પ્રશંસા પત્ર
નવી દિલ્હી ખાતે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં ડાંગ જિલ્લાએ ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે. ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામના પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. સંગીતાબેને ગ્રામીણ સ્તરે શુદ્ધ પાણીની ગુણવત્તા તપાસવા માટેની FTK (ફિલ્ડ ટેસ્ટ કીટ) પદ્ધતિમાં નિપુણતા મેળવીને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
‘જલ જીવન મિશન’ અને મહિલા સશક્તિકરણનો સંગમ
આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણમાં મહિલાઓની ભૂમિકાને બિરદાવતા જણાવ્યું હતું કે, ભારતમાં પાણી માત્ર જરૂરિયાત નથી પણ આપણી સંસ્કૃતિનો ભાગ છે. એક સમયે જે મહિલાઓને પાણી માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવો પડતો હતો, આજે તે જ મહિલાઓ ‘જલ જીવન મિશન’ દ્વારા પાણીના સંચાલન અને શુદ્ધતાની જવાબદારી સંભાળી રહી છે. જળ મહોત્સવ હવે માત્ર એક કાર્યક્રમ નથી રહ્યો, પરંતુ જળ સુરક્ષા માટેનું એક મોટું જન આંદોલન બની ચૂક્યું છે, જેમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સની બહેનો પાયાની ભૂમિકા ભજવી રહી છે.
ડાંગની ડુંગરાળ ભૌગોલિક સ્થિતિમાં પાણીનું વ્યવસ્થાપન
ડાંગ જિલ્લો તેની ડુંગરાળ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ માટે જાણીતો છે. અહીંના ૩૧૧ ગામોની અંદાજે ૨.૭૪ લાખની વસ્તીને શુદ્ધ પાણી પહોંચાડવું એ મોટો પડકાર છે. આ પડકારને ઝીલી લેવા માટે જિલ્લામાં સ્વજલધારા અને જલ જીવન મિશન જેવા કાર્યક્રમો હેઠળ લોકભાગીદારીથી કામગીરી કરવામાં આવી રહી છે. ગામની પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતો દ્વારા પીવાના પાણીની યોજનાઓની મરામત અને નિભાવણીનું કામ સ્થાનિક લોકોની સક્રિયતાથી કરવામાં આવે છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં પણ નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે છે.
ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK) દ્વારા પાણીની શુદ્ધતાની ચકાસણી
ડાંગ જિલ્લામાં પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે કુવા, હેન્ડપંપ અને બોર જેવા મુખ્ય સ્ત્રોતોના સેમ્પલ લઈને તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે. આ માટે દરેક ગામની આંગણવાડી બહેનોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ બહેનો ફિલ્ડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પાણીમાં રહેલા ક્ષાર અને અન્ય તત્વોની ચકાસણી કરે છે. જલ શક્તિ મંત્રાલય દ્વારા ૮ થી ૨૨ માર્ચ સુધી ચાલનારા ‘જલ મહોત્સવ’નો મુખ્ય હેતુ પણ આ જ છે કે, પાણીના સ્ત્રોતોની સુરક્ષામાં સમુદાય પોતે જ માલિકી ભાવ કેળવે અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરે.

