ભાદરણીયા ગામે દશેરાના દિવસે યોજાયેલા ગરબામાં દલિત યુવાનની થયેલી હત્યામાં પકડાયેલા આરોપીઓની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે રીમાન્ડ અરજી ફગાવી દીધી હતી અને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જો કે પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં આ હુકમને પડકારવાની તૈયારીઓ હાથ ધરાઈ છે અને રીવીઝન અરજી કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરણીયા ગામે દશેરાની રાત્રીના સુમારે યોજાયેલા ગરબા જોવા માટે મિત્રો સાથે ગયેલા જયેશ સોલંકી સાથે પટેલ યુવાનોએ તકરાર કરીને તેને દિવાલમાં પછાડી લાતો તથા ગડદાપાટુનો માર મારીને પતાવી દીધો હતો. જે અંગે ભાદરણ પોલીસે આઠ શખ્સો વિરૂદ્ઘ એટ્રોસીટી વીથ મર્ડરનો ગુનો દાખલ કરીને આ કેસની તપાસ પેટલાદના ડીવાયએસપી જે. એમ. દેસાઈને સોંપવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને એક સગીર સહિત આઠ શખ્સોની ધરપકડ કરી હતી.
આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે આ હત્યાકેસની તપાસ માટે સાત દિવસના રીમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી જેને લઈને પોલીસ દ્વારા રીમાન્ડ રીવીઝન અરજી કરવામાં આવનાર છે. બીજી તરફ આજે કલેક્ટર કચેરીએ જીલ્લા કલેક્ટર ડો. ધવલભાઈ પટેલ અને ડીએસપી સૌરભસિંઘે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, મૃતકના પરિવારજનોની માંગણી અનુસાર કરમસદ હોસ્પિટલમાં વિડીયોગ્રાફી સહિત ડોક્ટરોની પેનલ દ્વારા મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતુ. જો કે પીએમ રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જવાની શક્યતા જોવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ૮.૨૫ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જે પૈકી એફઆઈઆર અને પીએમ રિપોર્ટ બાદ ૪,૧૨,૫૦૦ની સહાય આવતીકાલે ચુકવી દેવામાં આવશે બાકીની સહાય ચાર્જશીટ દાખલ થયેથી આપવામાં આવશે. ડીએસપી સૌરભસિંઘે જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા વધુ પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે બનાવની તપાસ વહેલીતકે પૂર્ણ કરીને આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોને પણ પૂરતી સુરક્ષા કવચ આપવામાં આવી છે.