CSK ને મોટો ઝટકો: આયુષ મ્હાત્રે IPL 2026 માંથી બહાર, ઈજાઓએ ચેન્નાઈની ચિંતામાં કર્યો વધારો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મંગળવારનો દિવસ માઠા સમાચાર લઈને આવ્યો. ટીમનો યુવા અને વિસ્ફોટક બેટ્સમેન આયુષ મ્હાત્રે હેમસ્ટ્રિંગની ગંભીર ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. અંડર-19 વર્લ્ડ કપ જીતનાર આ કેપ્ટને પોતાની બેટિંગથી જે આશા જગાવી હતી, તેના પર હવે પાણી ફરી વળ્યું છે. હજુ સુધી પાંચ વખતની ચેમ્પિયન ટીમે આયુષના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ નામની જાહેરાત કરી નથી.
મેદાન પર કેવી રીતે બની ઘટના?
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. મેચની પાંચમી ઓવરના બીજા બોલ બાદ જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે બે રન માટે કોલ આપ્યો, ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચતા જ આયુષને ડાબા પગના હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું.
જોકે, ફીઝિયોના ચેક-અપ બાદ આયુષે બેટિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો, પણ તે માત્ર બે બોલ સુધી જ ટકી શક્યો. આઉટ થયા બાદ તેની હાલત એટલી ગંભીર હતી કે તેને પેવેલિયન જવા માટે રામકૃષ્ણ ઘોષ અને ફીઝિયોની મદદ લેવી પડી હતી.
CSK ની સત્તાવાર જાહેરાત: 6 થી 12 અઠવાડિયાનો આરામ
ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપતા લખ્યું: “સત્તાવાર જાહેરાત. આયુષ મ્હાત્રે 18 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં બેટિંગ દરમિયાન લાગેલી ઈજાના કારણે IPL 2026 ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તેને સાજા થવામાં 6 થી 12 અઠવાડિયા જેટલો સમય લાગશે. અમે તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ.”
માઈકલ હસીની પ્રતિક્રિયા: “ટીમ માટે મોટું નુકસાન”
CSK ના બેટિંગ કોચ માઈકલ હસીએ મેચ બાદ જ સંકેત આપી દીધો હતો કે આ ઈજા ગંભીર છે. હસીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “આયુષ ખૂબ જ સારા ફોર્મમાં હતો અને જે રીતે તે બેટિંગ કરી રહ્યો હતો, તે જોતા તે અમારો મહત્વનો ખેલાડી હતો. તેનું બહાર જવું અમારા માટે મોટું નુકસાન છે.”
આયુષે આ સીઝનમાં રમેલી 6 મેચોમાં 177.87 ના સ્ટ્રાઈક રેટથી 201 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી પણ સામેલ હતી. 73 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો.
Official Announcement
Ayush Mhatre has been ruled out of the remainder of IPL 2026 due to a left hamstring injury sustained while batting during the match against Sunrisers Hyderabad on April 18.
Ayush’s injury will require a rehabilitation period of 6-12 weeks.
We wish Ayush… pic.twitter.com/7bGrFvqjY9
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2026
ઈજાઓનો સિલસિલો: CSK ની કસોટી
આ સીઝનમાં ચેન્નાઈની ટીમ ખેલાડીઓની ઈજાઓથી સતત ઘેરાયેલી રહી છે:
- ખલીલ અહમદ: ગયા અઠવાડિયે જ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે.
- નાથન એલિસ: ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો.
- ડેવાલ્ડ બ્રેવિસ: ઈજાના કારણે શરૂઆતની મેચો રમી શક્યો નહોતો.
- આયુષ મ્હાત્રે: હવે સીઝનમાંથી આઉટ થતા મિડલ ઓર્ડર પર દબાણ વધ્યું છે.
ચાહકો માટે રાહતના સમાચાર: એમ.એસ. ધોનીની વાપસી?
ઈજાઓના આ ગમગીન માહોલ વચ્ચે ચાહકો માટે એક આશાનું કિરણ પણ છે. દિગ્ગજ એમ.એસ. ધોની (MS Dhoni) અત્યાર સુધીની મેચોમાં ઉપલબ્ધ રહ્યો નથી, પરંતુ અહેવાલો મુજબ તે 23 એપ્રિલ, ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં મેદાન પર ઉતરી શકે છે.
