51 વર્ષની પરંપરામાં નવી ઊંચાઈ સર્જનાર ભંવર: સમાજને વિચારવા મજબૂર કરતું નાટક
સુરત મહાનગરપાલિકા છેલ્લા 51 વર્ષથી સ્થાનિક કલાકારોને મંચ આપતી નાટ્યસ્પર્ધાઓનું આયોજન કરતી રહી છે. આ લાંબી પરંપરામાં તાજેતરમાં યોજાયેલ સ્પર્ધા ખાસ બની, કારણ કે ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ ચાઈલ્ડ એક્ટર’નું પ્રતિષ્ઠિત સન્માન એક જ નાટક ‘ભંવર’ના કલાકારોને મળ્યું. સમાજને વિચારવા મજબૂર કરતી આ કૃતિએ મંચ પર અલગ જ અસર ઉભી કરી હતી અને દર્શકોને ભાવવિભોર કરી દીધા.
જુવેનાઇલ હોમના બાળકોની આંતરિક દુનિયા નાટકમાં જીવંત
લેખિકા ભાવના વકીલની કલમે જન્મેલું અને દિગ્દર્શક યશ ઉપાધ્યાયે સજીવન બનાવેલું આ નાટક જુવેનાઇલ હોમમાં રહેલા કિશોરોની માનસિક સ્થિતિને અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરે છે. ગુનાહિત કૃત્ય માટે હોમમાં મોકલાયેલા બાળકોને મળતો વર્તાવ, તેમની અંદર ચાલતાં સંઘર્ષ અને સમાજ પ્રત્યેની ભયભીતતા આ નાટકની મધ્યવર્તી થીમ તરીકે દેખાય છે. કદાચ આ જ અનોખી રજૂઆતને કારણે નાટક દર્શકોની વચ્ચે ચર્ચાનું કારણ બન્યું હતું.
કલાકારોની અભિવ્યક્તિએ મંચ પર સર્જી અલગ દુનિયા
થેસ્પિયન આર્ટ્સ ગ્રુપના લગભગ 16 કલાકારોએ આ નાટકને મંચ પર એવી રીતે જીવંત બનાવ્યું કે દર્શકો કલાકો સુધી એની અસરથી બહાર આવી ન શક્યા. ખાસ કરીને બાળક કલાકારોની સંવેદનશીલ રજૂઆતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના વાસ્તવિક લાગણીસભર અભિનયને કારણે જ તેમને ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ ચાઈલ્ડ એક્ટર’નો પુરસ્કાર મળ્યો. નાટકે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો કે સજા પૂર્ણ થયા પછી આવા કિશોરોને સમાજ સ્વીકારવા તૈયાર છે કે નહીં અને શું તેઓ સામાન્ય જીવનમાં પાછા ફરી શકે છે કે નહીં.
સમાજના વલણ અને કિશોરોના ભાવજગત વચ્ચેનું ઘર્ષણ
નાટકનું શીર્ષક ‘ભંવર’ માત્ર પ્રતીક નહીં પરંતુ તે કિશોરોની આંતરિક અવસ્થાનું પ્રતિબિંબ છે, જેમાંથી બહાર આવવું ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે. લેખિકા ભાવના વકીલ કહે છે કે આ નાટક લખવામાં સાત વર્ષ લાગ્યા અને આ વિષય પર ગુજરાતી નાટ્યસંસ્કૃતિમાં અગાઉ કોઈ કાર્ય થયું ન હતું. નાટકમાં કોઈ નાયક–નાયિકા કે વિલન નથી, માત્ર વિચારોનું વલોણું છે, જેમાં આ બાળકો ફસાયેલા હોય છે. તેઓ 18ના થતા જ હોમમાંથી બહાર આવે છે, પરંતુ સમાજમાં પગ મૂકતાં નવી જ લડત શરૂ થાય છે.
દિગ્દર્શન પાછળની મહેનત અને મનશાસ્ત્રની સમજણ
દિગ્દર્શક યશ ઉપાધ્યાય જણાવે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે આટલા ગંભીર વિષય પર કામ કરવું પડકારજનક હતું. બાળકોના પાત્રોની પૃષ્ઠભૂમિ સમજવા માટે ટીમે સાઇકાયટ્રિક નિષ્ણાંતોની મદદ લીધી અને જુવેનાઇલ હોમના જીવન પર આધારિત ફિલ્મો પણ અભ્યાસ કરી. આ બધું એકત્ર કર્યા પછી જ દિગ્દર્શનનું સ્વરૂપ નિશ્ચિત થયું, જે અંતે મંચ પર શક્તિશાળી અને હૃદયસ્પર્શી રજૂઆત બની.

