સરકારની આંખ નહીં ખૂલે તો આક્રોશ પરાકાષ્ઠાએ જશે — BMS રેલીમાં ચેતવણી
Bhartiya Mazdoor Sangh Rally: અમદાવાદમાં આજે ભારતીય મજદૂર સંઘ (Bhartiya Mazdoor Sangh – BMS) ના નેજા હેઠળ હજારો શ્રમિકો અને કર્મચારીઓએ રિવરફ્રન્ટ ખાતે ભવ્ય “શ્રમિક આક્રોશ રેલી” યોજી. લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અને પ્રશ્નોના ઉકેલ માટે દેશભરના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા 161 યુનિયનોના સભ્યો એકત્ર થયા હતા. “ભારત માતા કી જય”ના નારાથી આ વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. બીજી તરફ, પગાર વધારા અંગે હાઈકોર્ટના આદેશનું પાલન ન થવાને કારણે આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને 1લી ડિસેમ્બરથી 1000 બહેનો ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી આપી છે.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે શ્રમિકોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આવેદનો આજે સાંજે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને સુપરત કરાશે. તેમણે ચેતવણી આપી કે, “જો સરકાર તાત્કાલિક ઉકેલ નહીં આપે, તો શ્રમિકોનો આક્રોશ હવે પરાકાષ્ઠાએ પહોંચશે.”

રિવરફ્રન્ટ પર શ્રમિકોની ભીડ, ટ્રાફિકમાં ફેરફાર
આ રેલીમાં આશા વર્કર, એસટી કર્મચારી, બાંધકામ મજૂરો સહિતના હજારો શ્રમિકોએ ભાગ લીધો હતો. રેલીના વિશાળ જનમેદનીને કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસએ વાડજ સ્મશાનથી આંબેડકર બ્રિજ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખ્યો હતો અને અન્ય માર્ગો પર ડાયવર્ઝન અપાયું હતું. સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.
આંગણવાડી બહેનોનું આંદોલન પણ ઉગ્ર બન્યું
આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ વ્યક્ત કરી રહી છે. તાજેતરમાં મેમ્કો સર્કલ પાસેના વીર સાવરકર રમત ગમત સંકુલમાં બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બહેનોએ સ્પષ્ટ એલાન કર્યું છે કે, જો સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન નહીં કરે, તો તેઓ 1 થી 10 ડિસેમ્બર વચ્ચે ભૂખ હડતાળ કરશે.

હાઈકોર્ટનો આદેશ છતાં પગારમાં સુધારો નહીં
હાઈકોર્ટે ઓગસ્ટ 2024માં આદેશ આપ્યો હતો કે આંગણવાડી વર્કરને ₹24,800 અને હેલ્પરને ₹20,300 પગાર આપવો. પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. બહેનોએ માંગણી કરી છે કે નિવૃત્તિ વય 60 વર્ષ કરવામાં આવે, બદલીની તક આપવામાં આવે અને તમામને મોબાઇલ ફોન આપવામાં આવે. આંદોલનકારિ બહેનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં સરકારના મંત્રીઓ કે સચિવો તેમની સાથે બેઠક કરવા તૈયાર નથી. તેમણે આ પણ જણાવ્યું કે રિવરફ્રન્ટ પર રેલી માટે પ્લોટ ભાડે લેવા માટે રૂ.42,000ની ફી ભરાઈ હતી, છતાં અંતિમ ક્ષણે મ્યુનિસિપલ કોર્પોરેશનએ પ્લોટ આપવાનો ઇનકાર કર્યો.
ભૂખ હડતાળ અને ગાંધીનગર ચક્કાજામની ચીમકી
ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનએ જાહેરાત કરી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો 1 થી 10 ડિસેમ્બર દરમિયાન 1000 બહેનો ભૂખ હડતાળ પર ઉતરશે. આ સાથે, આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામ યોજવાની પણ ચીમકી આપવામાં આવી છે.

