ભરૂચના ભોલાવ GIDC ખાતે આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ અને ટીમે કરેલી તપાસ દરમિયાન CCTV ફૂટેજ ચેક કરવામાં આવતા કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ આગ લગાડવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તેના 4 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે. સિક્યોરિટી ગાર્ડે પ્લાસ્ટિકના જથ્થામાં દીવાસળી નાખી આગ લગાડતા કંપનીને રૂ. 11 કરોડનું નુકસાન થયું છે.
નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા 22 ફાયરબ્રિગેડ કામે લાગ્યા હતા અને બે દિવસ બાદ આગ કાબૂમાં આવી શકી હતી,આગના ધુમાડા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા તેટલી ભયાનક આગ લાગી હતી.
બન્ને ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મૂકનાર સિક્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
ફેક્ટરી પર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરિટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળનું કારણ જાણવા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછ ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે ભરૂચમાં ભોલાવ GIDCમાં આવેલી નર્મદા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં 22 માર્ચે સવારે 7 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા, GNFC, NTPC ઝનોર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ, દહેજ સહિતના જિલ્લાના 20થી વધુ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો જેની તપાસ બાદ વોચમેને જ આગ લગાડી હોવાનું ખુલ્યું હતું.