ભરૂચ નેશનલ હાઇવે પર ઉપર આવેલી સરોવર કાઠિયાવાડી હોટલને પરવાનગી વિના વપરાશ શરૂ રાખતા આખરે સીલ કરવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર ગામની હદમાં સરોવર કાઠિયાવાડી હોટલને બૌડાની ટીમે સીલ કરી દેતા સબંધિત વર્તુળોમાં ભારે દોડધામ જોવા મળી હતી.
ભરૂચ તાલુકામાં આવેલાં ઝાડેશ્વરની રેવન્યુ સર્વે નંબર 283/2 વાળી જમીન પર બાંધકામ માટે બૌડાએ ઇ-નગર હેઠળ પરવાનગી આપી હતી. બાંધકામની પરવાનગી મેળવ્યાં બાદ ઇમારત ઉભી થયે તેની વપરાશ માટેની પરવાનગી બૌડામાંથી લેવાની થતી હોવા છતાં મિલ્કત ધારકે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.
સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિમયો 2017 ની જોગવાઈ 3.8 મુજબ કોઈપણ બાંધકામનો વપરાશ કરતા પહેલા સક્ષમ ઓથોરીટી પાસેથી વપરાશ પરવાનગી મેળવવી અનિવાર્ય હોવા છતાં ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ લેખિત મૌખિક સુચનાઓની અવગણના કરવામાં આવતા આખરે બાંધકામ વપરાશ પરવાનગી ન મેળવવા બદલ હોટલને સીલ કરી દેવામાં આવી હતી.