વડોદરાના નારેશ્વર ચોકડી પાસે બેફામ ઝડપે જઈ રહેલા રેતી ભરેલા ડમ્પરની અડફેટે આવી જતા એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થઇ જવાના બનાવ બાદ સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા છે અને કાર્યવાહીની માંગ કરી છે.
વિગતો મુજબ ભાણેજ દીકરીના લગ્નની કંકોત્રી આપવા ગયેલા માસાનું અકસ્માતમાં મોત થયા બાદ રેતી ભરેલું ડમ્પર ત્યાં જ મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો.
નારેશ્વર રોડ પર થયેલા આ અકસ્માત બાદ સાંસદ મનસુખ વસાવાનો રોષ ભભૂકી ઊઠ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આવી અનેક ઘટનાઓ બાદ પણ રેતી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થતી નથી ત્યારે આવા રેતી માફિયાઓ સામે કડક કરવાની માગણી કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો તેઓ ધરણાં કરશે તેવી ચીમકી આપી છે.
મનસુખ વસાવાએ નેતાઓ અને સરકારી અધિકારીઓને આડે હાથે લેતા કહ્યું કે, આ સમગ્ર મામલે તંત્ર એટલે કાર્યવાહી નથી કરતું કારણ કે તેમાં ઘણાં નેતાઓનો તેઓ ઉપર ચાર હાથ હોય છે.
આમ,રેતી માફિયાઓ વિરુદ્ધ અનેકવાર રજુઆત છતાં કાર્યવાહી નહિ થતા આખરે સાંસદ મનસુખ વસાવાએ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.