ભરૂચના ઝઘડિયા તાલુકાના ગામોમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. સતત સાત દિવસ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરદાર સરોવરના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકાના કિનારા વિસ્તારના ગામોની સીમમાં તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. સાથે મુંગા પશુઓને ચરવા માટેની ગૌચરની જમીનનું ઘાસ પણ નષ્ટ થઇ ગયું છે.
કાંઠા વિસ્તારમાં પાણી ઘૂસવાના કારણે મગરો, દીપડા, શ્વાન વિગેરે પણ હાડમારી ભોગવી રહ્યાં છે. જો કે ગત રાત્રિએ ઓરપટાર ગામના રોડ પર મગર હોવાના અહેવાલ મળ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે ભાલોદ ગામના ખેતરમાંથી રેસ્ક્યુ કરી અજગરને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં હજી તમામ વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. જેથી મૂંગા પશુઓ પણ સાત દિવસથી હાડમારીનો સામનો કરી રહ્યા છે.