ભરૂચના વાગરા નગરમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 66,200/- ની મતાની ચોરી કરી પલાયન થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભરૂચના વાગરામાં નિશાચરોએ એક ઘરને નિશાન બનાવી હજારોની મતાની ચોરી કરી પલાયન થઇ ગયાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ભરૂચના વાગરાની તો શાંતિનગર સોસાયટીમાં રહેતા હિમાંશુભાઇ હસમુખભાઇ સુથારના મકાનમાં ગત તારીખ 16 મી ફેબ્રુઆરીની રાત્રીના કોઇ અજાણ્યો ચોર ઇસમ મકાનના દરવાજાના તાળાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યો હતો, ઘરમાં પ્રવેશેલા તસ્કરે તિજોરીમાં મુકેલો ગળાનો સોનાનો સેટ આશરે પંદર ગ્રામ કિંમત રૂપિયા 54000/-, સોનાની બુટ્ટી નંગ એક આશરે 3 ગ્રામ કિંમત રૂપિયા 8500/- તેમજ કાનમાં પહેરવાની શેર એક જોડ આશરે 8 ગ્રામ કિંમત રૂપિયા 3700/- મળી કુલ રૂપિયા 66,200/- ની મતાની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો પલાયન થઇ ગયા હતા. તસ્કરનું પગેરૂ મેળવવા પોલીસ દ્ધારા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ હતી. ચોરી સંદર્ભે હિમાંશુભાઇએ વાગરા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Tuesday, May 21