રાજ્યમાં એસટી વિભાગને સરકાર નવી બસ અને આધુનિક બસ સ્ટેશન ફાળવી રહી છે અને વિભાગનર આધુનિક બનાવવા કમર કસી છે ત્યારે ભાવનગર એસ.ટી ને પણ વધુ 9 નવી બસને સાંસદ ડો.ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ નવી બસોમાં સ્લીપરો, લક્ઝરી બસો અને મીની બસો ભાવનગર એસ.ટી.ને ફાળવવામાં આવી છે. જે એસ.ટી.બસ સ્ટેન્ડથી અલગ અલગ રૂટ પર દોડશે.
મહત્વનું છે કે ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા કુલ 34 બસોની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં 4 સ્લીપર, 2×2ની લકઝરી 8 બસો અને 22 મીની બસોનો સમાવેશ થયેલ છે. આ ફાળવવામાં આવેલ બસો એમીશન નોર્મ્સ ધરાવે છે જે પ્રદૂષણ ઘટાડે છે.
આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં આધુનિક કુલ નવી 34 બસોની ફાળવણી કરવામાં આવેલ છે. સાથો સાથ આખા વર્ષ દરમ્યાન 100 જેટલી નવી બસો તબક્કાવાર ભાવનગર માટે ફાળવણી કરવામાં આવી હોવાનુ ઉમેરી તેઓએ જનતાએ પણ સહકાર આપવા જણાવ્યું હતુ તેઓએ મુસાફરો બસ સ્વચ્છ રાખે અને જાહેર બસોની જાળવણી કરે તે માટે મુસાફરોને અપીલ પણ કરી હતી.