કચ્છના માંડવી તાલુકાના ગોણીયાસર ગામ ખાતે રહેતા સ્થાનિક જાડેજા પરિવારના ખેતરમાં પડેલો પથ્થર ક્ષત્રપ શિલાલેખ હોવાનું ખુલ્યું હતું જેને ચાર વર્ષ અગાઉ ભુજ ખાતે આવ્યા બાદ હવે આગામી એકાદ મહિનામાં પ્રદર્શન અર્થે મુકવામાં આવશે.
નવો ક્ષત્રપ શિલાલેખ જે પ્રદર્શન અર્થે મૂકવામાં આવશે તે આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, મૈસુરની અનુમતિથી સંશોધનપત્ર મુજબ પત્થર પર શિલાલેખ કોતરાયેલો છે
2018 ના મે મહિનામાં દિલીપભાઈ વૈદ્યે જાણ કરતા સંગ્રહાલય તરફથી સ્થળ પર તપાસ કરી તેને સંગ્રહાલય સુધી પહોંચતી કરવા માટે તત્કાલીન જિલ્લા સમાહર્તા રેમ્યા મોહન તેમજ સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર સાથે પત્ર વ્યવહાર અને પ્રક્રિયા સંપૂર્ણ કરીને ભુજ લઈ આવવામાં આવ્યા હતા.
ભુજ સ્થિત 146 વર્ષ જૂનું કચ્છ સંગ્રહાલય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું અમૂલ્ય સંગ્રહસ્થાન છે. તેમાં પણ ક્ષત્રપ વંશજોના અગિયાર શિલાલેખ જે અન્ય ક્યાંય નથી તેમાં વધુ એક એટલે કે બારમું શિલાલેખ પ્રદર્શનમાં મુકાશે. કચ્છ સંગ્રહાલય ગુજરાતનું સૌથી જૂનું અને કદમાં ત્રીજું વિશાળ સંગ્રહાલય છે.
ઇસ 35 થી ઇસ 405 વચ્ચે લખવામાં આવેલા ક્ષત્રપ રાજવંશના કુલ 11 શિલાલેખ કચ્છ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા શિલાલેખથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન મહારાષ્ટ્ર, રાજસ્થાન ગુજરાત તેમજ મધ્યપ્રદેશ સુધી વિસ્તરાયેલું હતું. આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા.