દેશના મોટાભાગના એરપોર્ટ ખોટનો સામનો કરી રહયા છે જેમાં કચ્છના ભુજ અને કંડલા એરપોર્ટ પણ સામેલ છે. ભુજ એરપોર્ટ ઘણા સમયથી કરોડોની ખોટ કરી રહ્યું છે,હવે કંડલા એરપોર્ટ પણ ખોટમાં ચાલી રહ્યું છે.
રાજ્ય સભામાં સરકારે દેશભરના રજૂ કરેલા એરપોર્ટના આંકડામાં ભુજ એરપોર્ટ પાંચ વર્ષમાં સતત દર વર્ષે નુકસાનીનો સામનો કરી કુલ રૂા. 30.58 કરોડની ખોટ કરી હતી. તો કંડલા એરપોર્ટે વર્ષ 2020-21માં નફો કર્યા બાદ બાકીના 4 વર્ષ નુકસાની સાથે કુલ17.96 કરોડની ખોટ કરી હતી.
એક સમયે મુંબઇની દૈનિક ત્રણ ફ્લાઇટથી ભુજ એરપોર્ટ ધમધમતુ હતું. પરંતુ હાલ મુંબઇની દૈનિક એક ફ્લાઇટ છે. તો અઠવાડિયામાં પાંચ દિવસ વાયા અમદાવાદ થઇ બેલગામની ફ્લાઇટની સેવા મળે છે. તેની સામે કંડલા એરપોર્ટ પર અગાઉ દૈનિક ત્રણ ફ્લાઇટ ઊડતી હતી. તે પણ ઘટી હવે માત્ર મુંબઇની એક માત્ર ફ્લાઇટ છે.
ફ્લાઇટની ઘટતી સંખ્યા એરપોર્ટના નફા-નુકસાનમાં પણ જોવા મળી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉડ્ડયન મંત્રીએ દેશભરના એરપોર્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલની ખોટ અને નફાની માહિતી આપી હતી. જેમાં મોટાભાગે દેશભરના એરપોર્ટ ખોટ જ કરતા હોવાનું બહાર આવ્યું છે.