ભુજ ખાતે ભાજપના નવા કાર્યાલય કચ્છ કમલમના લોકાર્પણ માટે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે સી.આર.પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસીઓ ભાજપ માટે એમ કહેતા હતા કે ” મંદિર વહી બનાયેગે પણ તારીખ નહી બતાયેગે!” તો એ લલ્લુઓને કહી દેજો કે, 2024માં રામલ્લાના દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય.
અમે આપેલું વચન મોદી સાહેબ પુરૂ કરી રહ્યા છે.
મેનીફેસ્ટોની કમિટીમાં ભારતીય જનતા પાર્ટી કહેતી કે, 370ની કલમ રદ કરીશુ અને તે પણ કર્યું.
મોદી સાહેબને રાજ્યસભામાં કોંગ્રેસના એક આગેવાને ધમકી આપી હતી કે, મોદીજી 370 કો હાથ મત લગાના હાથ જલ જાયેગા, કાશ્મીર મે ખૂન કી નદીયા બહેગી.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવી ધમકીઓ તરફ ધ્યાન આપ્યા વગર એક જ દિવસમાં 370ની કલમ રદ કરી નાખી.
કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેવાની વાત તો દૂર રહી લોહીનું એક ટીપું પણ ન પડ્યુ તે હકીકત છે.
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લામાં અત્યાધુનિક કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તે પૈકીના ભુજમાં ભાજપના કાર્યાલય કચ્છ કમલમનું સી.આર. પાટીલના હસ્તે ભૂમિ પૂજન થયા બાદ 14 મહિનામાં કચ્છ કમલમ કાર્યાલય તૈયાર કરીને વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.