ભાજપના અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં થયેલી હત્યા અંગે પોલીસે ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા મસાફરને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. ટ્રેન ભૂજથી મુંબઈના દાદર સ્ટેશન સુધી જઈ રહી હતી. ટ્રેનમાં મુસાફરનાં સ્વાંગમાં રહેલા કોઈ વ્યક્તિએ જ ભાનુશાળીને ગોળી મારી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળી પર બે ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં એક ગોળી તેમની છાતીમાં અને બીજી ગોળી તેમની આંખમાં ધરબી દેવામાં આવી હતી.
ગોળી વાગ્યા બાદ જયંતિ ભાનુશાલી ટ્રેનના કોચમાં જ ફસડાઈ પડ્યા હતા. ટ્રેનની સીટમાં જ તેમનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. સયાજીનગરી (ટ્રેન નંબરઃ 19116)માં કટારિયા-સુરજબારી વચ્ચે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ટ્રેન સાતમી તારીખે ભુજથી 10:25 વાગ્યે ઉપડી હતી. ટ્રેન બીજે દિવસે બપોરે 1:45 વાગ્યે દાદર પહોંચવાની હતી.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં જ મુસાફરના સ્વાંગમાં રહેલા કોન્ટ્રાક્ટ કિલરે તેમની હત્યા કરી નાખી હતી. કોચમાં ફાયરીંગનો અવાજ ન આવે તે માટે ગન પર સાયલેન્સર લગાવીને ફાયરિગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયંતિ ભાનુશાલીના કોચમાં રહેલા પવન મૌર્ય નામના એક પેસેન્જરે ગોળીબાર અંગેની જાણકારી ટ્રેનના ટીટીએ જાણ કરી હતી. સુરજબારી પાસે પવન મૌર્ય ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેણે જયંતિ ભાનુશાલીને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. આ મામલે માળિયા પોલીસે પવન મૌર્યની પૂછપરછ કરી છે.
રાત્રે કંટ્રોલ રુમને માહિતી મળી હતી કે સયાજીનગર(19116) ટ્રેનના એચી કોચમાં જયંતિ ભાનુશાલી નામના વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. ટ્રેનને રાત્રે 2ઃ00 વાગ્યે માળિયા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી હતી. અહી 108ને બોલાવવામાં આવી હતી. માહિતી મળતા જ આરપીએફ અને જીઆરપીએફના કર્મચારીઓ કોચમાં પહોંચી ગયા હતા. પોલીસને શંકા છે કે રિઝર્વેશન ચાર્ટ પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળશે.