કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા અંગે અપડેટ અને વિગતો આપવા ગુજરાત સીઆઈડી ક્રાઈમના તપાસનીશ અધિકારી અજય તોમરે પત્રકારોને માહિતી આપી હતી. અજય તોમર સહિતના અધિકારીઓએ જણાવ્યું કે જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે અણબનાવ હતો. અને આર્થિક બાબતોને લઈ બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મનીષા ગોસ્વામી વિરુદ્વ એપ્રિલ 2018માં જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ખંડણીની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં મનીષાને અઢી મહિના સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. આ કારણોસર પણ મનીષા અને જંયતિ વચ્ચે તકરાર થઈ હતી.
મનીષા ગોસ્વામી અને છબીલ પટેલે પોતાના દુશ્મન એવા જયંતિને માર્ગમાંથી હટાવવાનું નક્કી કર્યુ હતું. મનીષાએ છબીલ પટેલ તથા ભાઉ અને તેની ગેંગના સાગરિતોની સાથે નવેમ્બર-2018માં મુલાકાત કરાવી હતી અને જયંતિની હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
શશીકાંત કામ્બલે નામના શૂટરને 25-12-2018ના રોજ છબીલ પટેલે પોતાના ફાર્મ હાઉસ નારયણી પર ઉતારો આપ્યો હતો.
31-12-2018ના દિવસે અન્ય શૂટરો પણ આવ્યા હતા અને નારાયણી ફાર્મમાં રોકાયા હતા. ફાર્મમાં રોકાઈને ભાઉ ગેંગના માણસોએ જયંતિ ભાનુશાળીની રેકી કરી હતી.
જયંતિ ભાનુશાળી પર આઠમી જાન્યુઆરીએ ચાલુ ટ્રેનમાં ફાયરીંગ કરી 12.55 વાગ્યે ટ્રેનની ચેઈમ પુલીંગ કરી ટ્રેનમાંથી ઉતરી અન્ય સાગરિતો સાથે રાધનપુર હાઈવે થઈને પુણા નીકળી ગયા હતા. સામખિયાળી ટોલટેક્સ પરથી ગેંગસ્ટરોના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે.
આ સમયગાળા દરમિયાન છબીલ પટેલ 2-1-2019ના દિવેસ ભારત છોડીને મસ્કત ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે મનીષાએ ત્રીજીથી લઈ છઠ્ઠી જાન્યુઆરી દરમિયાન ભૂજમાં હાજર રહી હત્યાને અંજામ આપવા સુધીની વ્યવસ્થા ગોઠવી હતી.
આ ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યાને પાર પાડવા માટે ભૂમિકા ભજવનારા નીતિન પટેલ અને રાહુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે.