અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ટ્રેનમાં ગોળીએ ધરબી દેવામાં આવ્યા બાદ પરિવારજનોએ ધારાસભ્ય છબીલ પટેલ પર આક્ષેપ કર્યો છે અને હત્યામાં છબીલ પટેલનો હાથ હોવાનું જણાવ્યું છે.
જયંતિ ભાનુશાળી મોટાભાગે ટ્રેનમાં પ્રવાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. ભૂજથી મુંબઈ તરફ જતી સયાજીનગરી ટ્રેનનાં ફર્સ્ટ એસી કોચમાં તેમની લોહી નીતરતી લાશ મળી આવી હતી. અજાણ્યા હુમલાખોરો વિરદ્વ તપાસ શરૂ કરાઈ છે. જયંતિ ભાનુશાળીને મોઢા અને પેટના ભાગે ગોળી મારવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલા બનાવના પગલે ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી અને 108ને બોલાવવામાં આવી હતી. આ ઘટના કટારીયા અને સૂરજબારી સ્ટેશનની વચ્ચે બની હતી.
જયંતિ ભાનુશાળી સયાજી નગરી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેઓ ભૂજથી નીકળી ગયા છે તે અંગેની જાણકારી કોને કોને હતી. ઘરવાળાની પણ પોલીસ તપાસ કરશે અને સાથો સાથ જયંતિ ભાનુશાળીને મિત્રો અને ભાજપના અન્ય નેતાઓની પણ તપાસ કરવામાં આવશે. પોલીસને આશંકા છે કે જયંતિ ભાનુશાળીની હત્યામાં ચોક્કસપણે કોઈ જાણભેદુ છે. પોલીસે હવે એ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે. જયંતિ ભાનુશાળીની સોપારી આપવામાં આવી છે કે કેમ તે એંગલ પર પણ પોલીસ તપાસ કરશે. હત્યાને રાજકીય રીતે પણ શંકાના દાયરામાં ગણવામાં આવી રહી છે.