ગાંધીનગર
જુલાઈ 2020ના અંતે જયારે અચાનક સી. આર. પાટીલને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા ત્યારે થોડી વાર પાર્ટીમાં કોહરામ મચ્યો, ઉહાપોહ થયો. પાટીલને નરેન્દ્રભાઈના વિશ્વાસુ વર્તુળમાંના એક માનવામાં આવે છે. એટલે એમ કહેવાયું કે હવે ગુજરાતમાં મુખ્યમંત્રી ભલે રૂપાણી રહ્યા પરંતુ ચાલશે તો પાટિલનુંજ. પાટીલે પણ રાજકોટમાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે કોઈના માણસ હોવાથી પાર્ટીમાં કઈ નહિ મળે. મીડિયા માટે આ એક એવો મસાલો હતો જેને ચાટી ચાટી ને ખાવાની અને લોકો સમક્ષ પીરસવાની મજા જ કંઈક ઔર હતી. ભાજપમાં જુથવાદ, હવે કોનું ચાલશે? રૂપાણી રહેશે કે જશે? વગેરે મુદ્દાઓ ઉપર ડિબેટો, ચર્ચાઓ અને તંત્રીલેખોની ભરમાર થઇ હતી. આ પ્રસંગે એ કહેવું છે કે ભાજપમાં જૂથવાદ એ કઈ નવી ઘટના નથી, જૂથવાદ પહેલા પણ હતો, આજે પણ છે અને આગળ ઉપર પણ રહેશે જ. પરંતુ હકીકત એ પણ છે કે ભાજપમાં રહેલો જૂથવાદ એકવ્યક્તિવાદ થી હંમેશા દબાયેલો જ રહેશે. કોંગ્રેસમાં એક પરિવારવાદ ટકાવી રાખવા માટે જુથવાદને પ્રોત્સાહન અપાતું આવ્યું છે એમ ભાજપમાં એકવ્યક્તિવાદને ટકાવી રાખવા માટે જુથવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આજે પાટીલ રાજકોટમાં છે. એ પ્રસંગે રૂપાણી સુરતમાં છે. એ તો છોડો, કમલેશ મીરાની કે જે રૂપાણીના અંગત ગણાય છે એમને પણ કિનારે કરવામાં આવ્યા હોવાના સમાચાર છે. તો વળી પાછો હોબાળો છે કે હવે પાટીલ અને રૂપાણી એક મંચ ઉપર નહિ દેખાય. રૂપાણીના અંગત ગણાતા લોકોને પાર્ટીમાં કદ પ્રમાણે વેતરી નાખવામાં આવશે. હા, ચોક્કસપણે આમ થશે જ. ભાજપ બિલકુલ કોંગ્રેસ ના રસ્તે છે. ફરક એટલો છે કે અહીંયા પરિવારવાદને બદલે વ્યક્તિવાદ ઘુસી ગયો છે.
ગુજરાત ભાજપ જયારે પોતાના સંઘર્ષમય ગાળામાં હતો ત્યારે કેશુભાઈ પટેલ, શંકરસિહ વાઘેલા, કાશીરામ રાણા જેવા કદ્દાવર આગેવાનો વચ્ચે પણ જૂથવાદ હતો, બાજપાઈ અને અડવાણી ભલે એક બીજા પ્રત્યે સૌહાર્દપૂર્ણ વ્યવહાર ધરાવતા દેખાય હોય પણ જૂથવાદ તો એ બન્ને વચ્ચે પણ હતો. નરેન્દ્રભાઈ અને સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ, સંજય જોશી, હરેન પંડ્યા, એક સમયે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયા વચ્ચે પણ જૂથવાદ હતો. પ્રમોદ મહાજન અને મોદી વચ્ચે પણ જૂથવાદ હતો. નરેન્દ્રભાઈ ના બે અંગત ગણાતા આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચેનો જૂથવાદ પણ જગ જાહેર છે. તો નવું શું છે? આજે પાટીલ નો પાવર ચાલે છે. તો રૂપાણી ખૂણામાં ધકેલાઈ જશે. કાલે કોઈ બીજો આવશે તો પાટીલને ખૂણો પાળવો પડશે. આપણે ત્યાં એક કહેવત છે કે ”વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.” આપ સૌ સમજદાર છો એટલે કોણ વર, કોણ કન્યા અને કોણ ગોર છે એની ચોખવટ નથી કરતા, આપની સમજ ઉપર છોડી દઈએ છીએ.