Gujrat BJP: રૂપાલા-માંડવીયા અંગે અટકળોનો દૌર,નીતિન પટેલ શું કરશે? સુરતમાંથી ગોવિંદ ધોળકીયાની રાજ્યસભામાં પસંદગી થતાં દર્શના જરદોષને હાશકારો, કોંગ્રેસમાંથી આવેલા કેટલાકને મળી શકે છે લોકસભાની ટિકિટ
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં 26 સાંસદમાંથી 22 સાંસદને ભાજપ રિપીટ નહિ કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ રિપીટ નહિ કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર કોળી સમાજના નેતાઓનું અને મતદાતાઓનું પ્રભુત્વ છે જેથી ભાજપ આ બેઠક પરથી કોને ટિકિટ આપે છે તે જોવાનું રહે છે.
બીજી બાજુ કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના નેતાઓની હાલથી જ સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટેની મથામણ શરૂ કરી દીધી છે.
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન દેવુસિંહની જગ્યાએ અન્ય ઓબીસી આગેવાનને મધ્ય ગુજરાતમાંથી ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે કેન્દ્રીય પ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરાને પણ રિપીટ કરવામાં નહીં આવે.
સુરતમાંથી ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના સભ્યપદે પસંદ કરાયા છે ત્યારે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને હાલ હાશકારો થયો છે. ભાજપ હાઇકમાન્ડે ગોવિંદ ધોળકિયાને લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ તેમની પસંદગી રાજ્યસભા માટે કરાઇ છે ત્યારે હાલ દર્શના જરદોશ માટે લોકસભાની ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થયો છે. લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતનો લક્ષ્યાંક હોવાથી ભાજપ જરાયે જોખમ ખેડવા માગતી નથી. આ કારણોસર રાજકીય સમીકરણના સોગઠા ગોઠવી નવા-યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે તક આપી શકે છે.
રાજયસભા માટે ભારતીય જનતા પક્ષે હેવીવેઈટ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના ચાર ઉમેદવારો નિશ્ર્ચિત કરીને એક તરફ બે કેન્દ્રીય મંત્રીઓને આંચકો આપ્યો છે તો બીજી તરફ તેમના રાજકીય ભવિષ્ય અંગે પણ પ્રશ્ર્ન પૂછાવા લાગ્યો છે. ખાસ કરીને આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા માટે હજુ લાંબી પોલીટીકલ ઈનિંગ્ઝ બાકી હોવાનું મનાય છે અને તેથી તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવાશે કે પછી સંગઠનના ક્ષેત્રે કોઈ કામગીરી સોંપાશે તેના પર અટકળો છે
જયારે પુરુષોતમ રૂપાલા માટે હવે પોલીટીકલ જર્નીનો અંત આવી ગયો હોય તેવુ મનાય છે.
ત્રણ વખત ધારાસભ્ય તરીકે અને રાજયના મંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના પદો પર રહી ચૂકેલા પુરુષોતમ રૂપાલાએ રાજયસભામાં પણ સૌથી લાબી ઈનિંગ્ઝ રમી છે તેઓ ૨૦૦૮થી૨૦૧૪ અને બાદમાં ૨૦૧૬થી૨૦૧૮ અને હવે ૨૦૨૪ સુધી રાજયસભાના સભ્ય રહી ચૂકયા છે અને આથી ભાજપમાં જે રીતે રાજયસભામાં જો રીપીટ થિયરી છે તે તેમને લાગુ થઈ છે. તેઓને અમરેલી લોકસભા બેઠક લડાવાય તેવી શકયતા નહીવત છે.
૨૦૧૭ની ચુંટણીમાં અમરેલી જીલ્લાએ કોંગ્રેસને ભરપુર મત આપ્યા હતા
અને દિલીપ સંઘાણી જેવા નેતા પણ પરાજીત થયા હતા પણ ૨૦૨૨માં ભાજપે આ જીલ્લામાં પોતાનો વાવટો ફરકાવી દીધો હતો પરંતુ હવે જુના જોગી રૂપાલાને ફરી સંસદમાં જવા તક મળે તેવી શકયતા નહીવત છે જયારે માંડવીયાને ભાવનગર બેઠક પર ચુંટણી લડવા જણાવાય કે પછી સૌરાષ્ટ્રની કોઈ અન્ય બેઠક અથવા તો છેક સુરત સુધી તેમનું કનેકશન નીકળે તેવી ચર્ચા છે. ભાવનગર લોકસભા બેઠકમાં કદી પાટીદાર ઉમેદવાર જીત્યા નથી. ભાજપે અગાઉ ગીગાભાઈ ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાણાને તક આપ્યા બાદ ભારતીબેન શિયાળને બે ટર્મ સુધી સાંસદ બનાવ્યા પણ પાલીતાણાના ધારાસભ્ય રહી ચૂકેલા માંડવીયા માટે આ બેઠક જીતવી એ કમળના કારણે અઘરી ન હોય તો પણ પક્ષ ઓબીસી કે કોળી કે ક્ષત્રિય સમાજ માટે મહત્વની ગણાતી આ બેઠક પાટીદારને લડવા જણાવે તેવી શકયતા નહીવત છે. અહી આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ઉમેદવારીની જાહેરાત કરી છે જે કોળી સમાજના છે અને તેથી જીલ્લાની સાત માંથી છ ધારાસભા બેઠકો ભાજપ પાસે હોવા છતાં માંડવીયાને નવા મતક્ષેત્રમાં જવુ પડે તો આશ્ર્ચર્ય થશે નહી. તેઓની રાજયસભાની એક ટર્મ પુરી થઈ છે અને રીપીટ ન થયા તે સૂચક છે.